(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકના નેતૃત્વમાં દાનહની પંચાયતો માટે બહુસ્તરીય ઉત્થાન માટે અને શિક્ષણના વિકાસ માટે જિલ્લા પંચાયત સીઈઓની અધ્યક્ષતામાં કલા કેન્દ્ર સેલવાસ ખાતે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ માટે બ્લોક ડેવલોપમેન્ટ સ્ટ્રેટેજીની તૈયારી હેઠળ ચિંતન શિબિર અને શાળાના બાળકોના શિક્ષણના નિરીક્ષણની તાલીમ માટે શિક્ષણ શિબિર રાખવામાં આવી હતી. જેમાં વિવિધ ક્ષેત્રોમાં જિલ્લાના વિકાસનો સ્તર, યુટીના વિકાસનો સ્તર અને રાષ્ટ્રના વિકાસના સ્તર વિશે માહિતી આપવામાં આવી અને તમામ ચૂંટાયેલ જન પ્રતિનિધિઓ દ્વારા જિલ્લાના વિકાસ માટે પ્રસ્તાવો આવકારવામાં આવ્યા હતા.
શિક્ષણશિબિરમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કેળવણી અધિકારી શ્રી જયેશભાઈ ભંડારીના માર્ગદર્શનમાં બીઆરસી, બીઆરપી અને સીઆરસી કો-ઓડીનેટર દ્વારા શિબિરમાં હાજર તમામ જન પ્રતિનિધિઓને શાળામાં બાળકોના શિક્ષણના નિરીક્ષણ અંગે તાલીમ આપવામાં આવી હતી. આ સાથે રમતા રમતા શીખો કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની બધી જ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના ભણતરના સ્તરનું નિરીક્ષણ કરવા માટે પુસ્તકીય સાધનો આપવામાં આવ્યા છે સાથે દરેક પંચાયતના ચૂંટાયેલ જનપ્રતિનિધિ જ્યારે એમના વિસ્તારની શાળાઓની મુલાકાત લેતા હોય છે ત્યારે તેઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરનુ મૂલ્યાંકન કેવી રીતે કરી શકે તે માટે તાલીમ આપવામાં આવી હતી અને એમને પુસ્તકીય સાધન પણ આપવામાં આવ્યા જેની મદદથી તેઓ મૂલ્યાંકન કરી શૈક્ષણિક સ્તરમાં સુધારો લાવવા માટે પોતાના અભિપ્રાય આપી શકે, શિબિર પૂર્ણ થયા બાદ જળ શક્તિ મંત્રલાય દ્વારા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ જે સમગ્ર દેશમાં લોન્ચ કરવામાં આવ્યું તેનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું.
‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત ગાંધી જયંતિ સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં સફાઈ અભિયાન, ભારતીય સ્વચ્છતા લીગ 2.0, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, વેસ્ટ ટુ વેલ્થ/કલા અભિયાન તમામ સામુદાયિક શૌચાલય/જાહેરશૌચાલયમા સાફ સફાઈ, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા, સ્વચ્છતા મેરેથોન, સામુહિક સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વોટર બોડી/અમૃત સરોવર સ્વચ્છતા, શ્રમદાન પ્રવૃત્તિઓ અને જાળવણી અને સમારકામની પ્રવૃત્તિઓ રહેશે.
આ કાર્યક્રમ બાદ સ્વચ્છતા રેલી કાઢવામાં આવી હતી. જેને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડાના હસ્તે ફલેગ ઓફ કરવામાં આવી હતી. આ રેલી કલા કેન્દ્રથી કલેકટર કચેરી સુધી જઈ પરત કલા કેન્દ્ર પર પરત આવી હતી. જેમા જન જાગૃતિ અને જન ભાગીદારી માટે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત સીઈઓ ડો.અપૂર્વ શર્મા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ સહિત જિલ્લા પંચાયતના સભ્યો, જિ.પં. શિક્ષણાધિકારી સહિત જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.