4 ઉમેદવારોના ભાગ્યનો થનારો ફેંસલોઃ બપોરના 12:30 વાગ્યા સુધી પરિણામનું ચિત્ર સ્પષ્ટ બનવાની સંભાવના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01
આવતી કાલે સવારે 8:30 કલાકે સેલવાસના કરાડ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકર પોલીટેક્નિકમાં લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે ગત તા.30મી ઓક્ટોબરના રોજ યોજાયેલ પેટા ચૂંટણીની મત ગણતરી હાથ ધરવામાં આવશે. એક રાઉન્ડમાં એક સાથે 20 બુથની મત ગણતરી હાથ ધરાતા 20 રાઉન્ડ બાદ આખરી પરિણામ બહાર આવશે. પરંતુ આવતી કાલે બપોરના 12:30 વાગ્યાના આસપાસ લગભગ તમામ ચિત્ર સ્પષ્ટ બની ગયું હશે.
આવતી કાલે ભાજપના શ્રી મહેશ ગાવિત, શિવસેનાના શ્રીમતી કલાબેન ડેલકર તથા કોંગ્રેસના શ્રી મહેશ ધોડી અને બીટીપીના શ્રી ગણેશ ભુજાડાના ભાગ્યનો ફેંસલો સામે આવશે. સંઘપ્રદેશ પ્રશાસન અને ચૂંટણી વિભાગે આવતી કાલે હાથ ધરાનારી મત ગણતરીના સંદર્ભમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પુરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરાઈ છે.
આવતી કાલે દાદરા નગર હવેલીના મતદારોએ કોના ઉપર મહોર મારી છે તે પણ સ્પષ્ટ બની જશે.