પરિવાર દ્વારા રંગમંચ પર રજૂ કરાયેલી ‘‘રિશ્તો કી રમઝટ”
નાટિકા આકર્ષણનું કેન્દ્ર બની
બેંકના ગ્રાહકો જ જ્યોત્સનાબેન માટે સર્વોપરી રહ્યા હતાઃ બ્રાંચ મેનેજર રોહિણી ગોયલ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: વલસાડ શહેરના મોટા બજાર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મેઈન બ્રાંચમાં સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જ્યોત્સનાબેન જી. સોલંકી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો યાદગાર નિવૃત્તિ વિદાય સમારોહ તિથલ રોડ પર સ્થિત ‘‘પરિવાર” બેંકવેટ હોલમાં યોજાયો હતો. સ્ટેટ બેંક અને યુનિયન દ્વારા જ્યોત્સનાબેનનું શાલ, નાળિયેર અને સ્મૃતિભેટથી સન્માન કરી શાનદારવિદાય આપવામાં આવી હતી.
આ પ્રસંગે સ્ટેટ બેંકના બ્રાંચ મેનેજર રોહિણી ગોયલે જ્યોત્સનાબેનની ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી જણાવ્યું કે, બેંકમાં ગ્રાહકો જ તેમના માટે સર્વોપરી હતા. ખાસ કરીને સિનિયર સિટિઝનો પ્રત્યેનો તેમનો સેવાભાવ ખૂબ જ લાગણીશીલ રહ્યો છે. એસબીઆઈ એમ્પ્લોઈઝ યુનિયનના રીજિયોનલ સેક્રેટરી રાજેશભાઈ પટેલ અને યુનિયનના એક્સ રીજિયોનલ સેક્રેટરી શાંતિલાલભાઈ જેઠવાએ સેવા નિવૃત્ત થનાર જ્યોત્સનાબેનની 34 વર્ષની સફળતાપૂર્વકની નોકરીને બિરદાવી તેમનું આગામી જીવન નિરોગી રહે તેમજ સુખ, શાંતિ અને સમૃધ્ધિથી સભર રહે એવી મંગલ કામના કરી હતી. પોરબંદરની લીડ બેંક (સ્ટેટ બેંક)ના નાણાકીય સાક્ષરતા સલાહકાર કમલેશભાઈ ગોહેલે બેંકમાં ફરજ દરમિયાન કસ્ટમરો સાથેના જ્યોત્સનાબેનના સંસ્મરણો વાગોળી તેમની બેંક પ્રત્યેની વફાદારી અને નિષ્ઠાને સન્માનિત કરી હતી. વલસાડના નવરંગ ડાન્સ એકેડમીના ડિરેકટર શૈલેષભાઈ જૈને સ્ટેટ બેંકના સ્ટાફ દ્વારા વેલકમ એન્ટ્રી અને ડાન્સ કળતિને તેમજ જ્યોત્સનાબેનના પરિવાર દ્વારા રંગમંચ પર રજૂ કરાયેલી ‘‘રિશ્તો કી રમઝટ” નાટિકાને બિરદાવી હતી. સંબંધો અને પરિવારનું મહત્વ સમજાવતી આ નાટિકાને નિહાળી અનેક લોકોની આંખો પણ ભીની થઈ હતી.
સેવા નિવૃત્તથનાર જ્યોત્સનાબેન સોલંકીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, સ્ટેટ બેંકમાં મારી નોકરી ન હોત તો હું મારા જીવનની કલ્પના પણ ના કરી શકુ. સ્ટેટ બેંક થકી જ સમાજમાં મોભાદાર સ્થાન મળ્યુ. બેંકમાં એક સમય એવો આવ્યો હતો કે, જ્યારે નવી ટેકનોલોજીના કારણે કર્મચારીઓ વીઆરએસ (સ્વૈચ્છિક નિવૃત્તિ) લઈ રહ્યા હતા તે સમયે હિંમત હાર્યા વિના ટેકનોલોજી સાથે તાલ મેળવી બેંકના ગ્રાહકોની સેવા કરી 34 વર્ષની નોકરી સફળતા સાથે પૂર્ણ કરી હોવાનો આનંદ છે. આ દરમિયાન મને સાથ સહકાર આપનાર તમામનો આભાર માનુ છું.
આ પ્રસંગે વલસાડ જિલ્લાની સ્ટેટ બેંકની અલગ અલગ શાખાના અધિકારી-કર્મચારીઓ અને જ્યોત્સનાબેનના પરિવારમાંથી પુત્ર જિજ્ઞેશ જી.સોલંકી, જીતેન્દ્ર જી. સોલંકી, પુત્રવધુ દક્ષા સોલંકી, મોનિકા સોલંકી, પૌત્ર આર્યન સોલંકી અને પૌત્રી રેની સોલંકી સહિત સગા સંબંધી અને મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.