(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: દાદરા નગર હવેલીમાં આજે મંગળવારની વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેમાં સેલવાસમાં 111.4એમએમ 4.39 ઇંચ વરસાદ અને ખાનવેલમાં 34.0એમએમ 1.34 ઇંચ વરસાદ વરસ્યો હતો. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 356.4 એમએમ 14.03 ઇંચ અને ખાનવેલમાં 462.0 એમએમ 18.19 ઇંચ નોંધાયો છે. મધુબન ડેમની જળસપાટી 66.45 મીટર નોંધાવા પામી હતી અને ડેમમાં પાણીની આવક 9090 ક્યુસેક તેમજ પાણીની જાવક 353 ક્યુસેક હોવાનું દાનહ હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં આજે પણ વૃક્ષો ધરાશાયી થયા હતા. જેના કારણે ઈલેક્ટ્રીક કેબલો તૂટવાને કારણે ગામડાઓમાં વીજળી ડૂલ થવાની સમસ્યાઓ ઉદ્ભવી હતી.
પ્રાપ્ત માહિતીપ્રમાણે સેલવાસ ગુરુદેવ સોસાયટીમાં બે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી જેમાં દીવાલ અને એન્ટ્રી ગેટ પર લગાવેલ બોર્ડ તુટી પડયા હતા. જ્યારે દપાડા ગામે રાત્રી દરમ્યાન એક વૃક્ષ ઉખડી પડયું હતું જે વૃક્ષ વીજવાયર ઉપર પડતાં વીજવાયરો તૂラટી ગયા હતા, આજે મળસ્કે કુદરતી હજાતે જવા નીકળેલ દપાડા નિવાસી ચંદુભાઈ ટોકીયા (ઉ.વ.60) જેઓનો પગ તૂટી પડેલા વીજવાયરો ઉપર પડતા જોરદાર કરંટ લાગવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ચંદુભાઈ ટોકીયાનું અકસ્માતે મોત થવાથી પરિવારમાં માતમ છવાયો હતો.