જ્યારે પ્રશાસકશ્રીના ટ્રાન્સફરની વાત હોય તો તે અબાધિત અધિકાર ભારત સરકાર અને દેશના રાષ્ટ્રપતિનો છે, પરંતુ પ્રદેશના થઈ રહેલા અભૂતપૂર્વ વિકાસને જોતાં હજુ બે-ચાર વર્ષ પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રહેવા જ જોઈએ એવો બહુમતિ લોકોનો હવે મત દૃઢ બની ગયો છે, તે વાત પણ ભૂલાવી નહીં જોઈએ

દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ફરી એક વખત સોશિયલ મીડિયામાં ચૂંટણી દરમિયાન પોતે આપેલા વચનોમાંનું એક પણ કામ લગભગ પાંચ મહિના પૂર્ણ થવા છતાં પણ નહીં થતાં રઘવાયા બની સરપંચો, જિલ્લા પંચાયત અને નગરપાલિકાને દોષ આપવાનું શરૂ કર્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત દેશના ઇતિહાસમાં પહેલી વખત દાદરા નગર હવેલી અને દમણ-દીવની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને દેશના ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે દિલ્હીમાં નવું અનુ જૂનું સંસદ ભવન સહિતના વિવિધ પ્રોજેક્ટો નિહાળવા આમંત્રણ આપ્યું હતું.
દેશના ઉપ રાષ્ટ્રપતિશ્રીએ આપેલા આમંત્રણ ઉપર દાદરા નગર હવેલી અને દમણ-દીવના જિલ્લા પંચાયત પ્રમુખો, ઉપ પ્રમુખો, સેલવાસ, દમણ અને દીવ નગરપાલિકાના પ્રમુખો-ઉપ પ્રમુખો તથાકાઉન્સિલરો અને ત્રણેય જિલ્લાની ગ્રામ પંચાયતોના સરપંચોએ દિલ્હીની મુલાકાત લીધી હતી. દિલ્હીની મુલાકાત દરમિયાન તમામ પ્રતિનિધિઓ માટે રહેવા, ખાવા અને ફરવાની પ્રથમ દરજ્જાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં દેશના ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લગભગ ચારથી પાંચ વખત તેમને ફોન કરી સંઘપ્રદેશથી દિલ્હી આવેલા પ્રતિનિધિઓને કોઈ તકલીફ તો નથી પડી રહી ને..? તેની કાળજી લીધી હતી.
સંઘપ્રદેશના ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજ્યના પ્રતિનિધિઓને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે એ માટે નાણા સચિવ અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત, દમણ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી અને સંયુક્ત ગૃહ સચિવ શ્રી આશિષ મોહન, દાનહ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી તથા દમણ ન.પા.ના ચીફ ઓફિસર શ્રી સંજામ સિંઘ જેવા અધિકારીઓને જવાબદારી પ્રશાસન દ્વારા સોંપવામાં આવી હતી અને તેઓ પ્રવાસ દરમિયાન સાથે ને સાથે રહ્યા હતા.
દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને કદાચ ખ્યાલ નહીં હશે કે, પ્રતિનિધિ મંડળમાં સામેલ કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ પહેલી વખત દિલ્હી જઈ રહ્યા હતા. દિલ્હીમાં ફાઈવ સ્ટાર સ્તરની હોટલમાંરોકાણ કરવાનો પણ કેટલાક પ્રતિનિધિઓ માટે પહેલો અવસર હતો. આ પ્રકારની તમામ સવલત સંઘપ્રદેશ પ્રશાસનના સૌજન્યથી મળી હતી. તેથી દિલ્હી ગયેલા તમામ પ્રતિનિધિઓએ એક સૂરમાં સંઘપ્રદેશ પ્રશાસન અને સંઘપ્રદેશના કર્મઠ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર માનતો પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો.
દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પસાર કરેલા પ્રસ્તાવનું ખોટું અને વિકૃત અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. તેમણે એવી ખોટી માહિતી ફેલાવવાની કોશિષ કરી છે કે, પ્રસ્તાવ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની બદલી રોકવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને આ પ્રસ્તાવ પ્રશાસકશ્રીના કહેવા ઉપર પસાર કરાયો હોવાનું પણ જુઠ્ઠાણું ચલાવ્યું છે. આ લખનાર દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ પણ છે. આ લખનાર સહિત કોઈ એક સરપંચ કે ચૂંટાયેલા અન્ય પ્રતિનિધિઓને પ્રશાસકશ્રી દ્વારા કહેવાયું નથી. પરંતુ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાની સ્વૈચ્છાથી સ્વયંભૂ રીતે પ્રભાવિત થઈ પ્રશાસકશ્રીનો આભાર પ્રગટ કરવાનું મન બનાવ્યું હતું. જેને ફક્ત વાચા આપવામાં આવી છે.
દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે હવે તો સમજવું જ પડશે કે, તેમણે ચૂંટણીમાં લોકોને ખોટા ખોટા વચનો આપીગુમરાહ કર્યા હતા, તેમના જુઠ્ઠાણાનો પરપોટો ફૂટી ગયો છે અને સામાન્ય જનતા તેમની ડાહી ડાહી વાતમાં ભરમાઈ ગઈ હોવાનું હવે ભાન થઈ રહ્યું છે. કારણ કે, દમણ-દીવના થયેલા વિકાસની મિશાલ અન્ય રાજ્યોના લોકો આપી રહ્યા છે. હવે જ્યારે પ્રશાસકશ્રીના ટ્રાન્સફરની વાત હોય તો તે અધિકાર ભારત સરકાર અને દેશના રાષ્ટ્રપતિનો છે, પરંતુ પ્રદેશના થઈ રહેલા અભૂતપૂર્વ વિકાસને જોતાં હજુ બે-ચાર વર્ષ પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રહેવા જ જોઈએ એવો બહુમતિ લોકોનો હવે મત દૃઢ બની રહ્યો છે.

