નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે અરજદારોના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા અધિકારીઓને સુચના આપી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.22: કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, નવસારીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
બેઠકમાં જો કોઈ પ્રશ્ન એક થી વધુ વિભાગોને લગતો હોય તો સંબંધિત વિભાગોને જવાબદારી નક્કી કરીને ત્વરિત નિર્ણય પર આવવા માટે જિલ્લા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી. અરજદારોની ફરિયાદોના ઝડપી અને હકારાત્મક નિકાલ માટે કલેકટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ નવસારી જિલ્લો રાજ્યમાં મોડેલ જિલ્લો બને તે માટે ટીમ નવસારીએ સુવ્યવસ્થિત આયોજન કરવા પર ખાસ ભાર મુક્યો હતો.
બેઠક દરમિયાન પડતર અરજીઓના નિકાલ, તુમાર સેન્શસ, પેન્શન કેસો, ખાતાકીય તપાસ, સરકારી લ્હેણાંની વસુલાત સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, વાંસદા પ્રાયોજના વહિવટદારશ્રી આન્નદુ સુરેશ, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી સહિતના જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.