(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.24: મજીગામ નેશનલ હાઈવે ડીલાઈટ ફૂડ જોઈન્ટ હોટલમાં રાજ્યના ક્વોરી એસોસિએશનના પ્રમુખ શ્રીહિતેન્દ્રભાઈ ઉપાધ્યાય, વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી મુકેશસિંહ ઠાકોર, નવસારી જિલ્લાના પ્રમુખ શ્રી સલીમભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ રાજપુત, ચીખલી-ગણદેવી ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, એપીએમસીના ચેરમેન શ્રી કિશોરભાઈ ઉપરાંત શ્રી દેવજીભાઈ ગોંડલીયા, શ્રી મુકેશભાઈ ફળદુ સહિતની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નવનિયુક્ત વ્યારા નગરપાલિકાના પ્રમુખ શ્રી રીતેશભાઈ ઉપાધ્યાય, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના ક્વોરી એસોસિએશનના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ ઉપાધ્યાયે નવનિયુક્ત બંને પદાધિકારીઓને સૂચન કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારમાં ક્વોરીઓની રોયલ્ટી પેટેની ડીએમએફની ગ્રાન્ટ વપરાતી નથી. ક્વોરી ઉદ્યોગના વિસ્તારમાં રસ્તા સહિતની સુવિધાઓના કામ માટે આ ગ્રાન્ટ વાપરવાની હોય છે. ત્યારે તેમાં રસ દાખવી રાજ્ય સરકારમાં રજૂઆત કરી ક્વોરી વિસ્તારના માર્ગોની ભારવાહક વાહનોને ધ્યાનમાં લઈ યોગ્ય ડિઝાઈન કરી કાયાપલટ કરવામાં આવે તો સરળતાથી ટ્રાન્સપોર્ટેશન થઈ શકે અને આમ લોકોને પણ ફાયદો થઈ શકે.
નવસારી જિલ્લાના પ્રમુખ સલીમભાઈ પટેલે જણાવ્યું હતું કે, કે બંને હોદ્દેદારો ક્વોરીના પ્રશ્નોથીવાકેફ છે. ત્યારે ક્વોરી ઉદ્યોગને વેગ મળે તે દિશામાં કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. બંને હોદ્દેદારોએ ક્વોરી ઉદ્યોગથી હજારો લોકોને રોજગારી મળતી હોવાનું જણાવી સહયોગની ખાતરી આપી હતી. સંચાલન ક્વોરી એસોસિયેશનના શ્રી સુરેશભાઈ પાર્થ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ઉપપ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ રાજપુત વગેરેઓએ ભારે જહેમત ઉઠાવી હતી.