ધાત્રી માતાઓના ઘરે જઈ નાણાં સચિવે માતા અને બાળકની ખબર-અંતર પૂછતા સર્જાયેલું હકારાત્મકતાનું વાતાવરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવને કુપોષણની સમસ્યાથી મુક્ત કરવા આપેલા દિશા-નિર્દેશ અંતર્ગત ઉચ્ચ અધિકારીઓ અને ગ્રામ પંચાયતોએ પણ મિશન મોડમાં કામગીરી શરૂ કરી છે અને પ્રશાસને વિવિધ ઉચ્ચ અધિકારીઓને વિવિધ વિસ્તારોની જવાબદારી પણ સુપ્રત કરવામાં આવેલ છે. જેમાં દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારના પ્રભારી અધિકારી તરીકે નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતને જવાબદારી સુપ્રત કરવામાં આવેલ છે.
પ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતના માર્ગદર્શન અને નેતૃત્વમાં દમણવાડા ગ્રામ પંચાયતે ધાત્રી માતાઓને શુદ્ધ ઘીમાં બનાવેલ લાડુનું વિતરણ કર્યું હતું. જેના કારણે માતાને જરૂરી શક્તિમાં ઉમેરો થવાથી ધાવણ કરતા શીશુની તંદુરસ્તી પણ સારી રહી શકે.
પ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે લાભાર્થી માતાઓના ઘરે જઈ લાડુનું વિતરણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યુંહતું. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, ઉપ સરપંચ શ્રી મિલન પટેલ તેમજ પંચાયતનો સ્ટાફ પણ જોડાયો હતો.