દમણની હોટલ રિવાન્ટામાં દમણ-દીવ ભાજપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મોદી સરકારની 9 વર્ષની ગણાવવામાં આવેલી ઉપલબ્ધિઓ
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
દમણ, તા.29 : ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં તા.30 મે થી 30મી જૂન, 2023 સુધી મોદી સરકારના સફળ 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમો અને મીડિયા તથા સોશિયલ મીડિયામાં સંવાદ કરવા જઈ રહી છે. જેના દમણ અને દીવના પ્રભારીની જવાબદારી ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને વરિષ્ઠ નેતા શ્રી જીતુભાઈ વાઘાણીને સુપ્રત કરવામાં આવેલ છે. આજે દમણ-દીવ ભાજપ દ્વારા નાની દમણની હોટલ રિવાન્ટામાં આયોજીત પત્રકાર પરિષદમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોદી સરકારના 9 વર્ષ દરમિયાન દેશ બદલાઈ રહ્યો છે અને પ્રગતિના નવા નવા સોપાનો સર કરી રહ્યો છે.
પ્રારંભમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે પીપીટી પ્રેઝન્ટેશનના માધ્યમથી મોદી સરકારના કાર્યકાળ દરમિયાન 2014ની સરખામણીમાં 2023 સુધી દેશે દરેક ક્ષેત્રે કરેલા વિકાસની મીડિયાને જાણકારી આપી હતી.
આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ અને ગરીબોના સશક્તિકરણ માટે આ સરકાર કામ કરી રહી છે. વંચિતોને તેમનો અધિકાર આપવા માટેપ્રધાનમંત્રીશ્રીએ જંગ છેડયો છે. સબકા સાથ, સબકા વિકાસની સાથે સંપૂર્ણ દેશના વિકાસ માટે આ સરકાર કામ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, દેશને બદલવા માટે જનતાએ પી.એમ.મોદીને સરકારનું સુકાન સોંપ્યું છે. પ્રધાનમંત્રી દેશની જનતાના હિતને નજર સમક્ષ રાખી કઠોર નિર્ણય લેવા માટે સક્ષમ છે. આ સરકારે કોઈપણ વર્ગનો પાછળ નથી રાખ્યો. જાતિવાદથી ઉપર ઉઠી દરેક વર્ગને ધ્યાનમાં રાખી મોદી સરકાર કામ કરી રહી છે. આ સરકાર દરેકની સરકાર દરેકને ન્યાય, ગરીબ કલ્યાણ નીતિ ઉપર પ્રાથમિકતા આપવાવાળી સરકાર છે. કારણ કે, સમાનતા વગેર કોઈ દેશ પ્રગતિ નહીં કરી શકે.
શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 9 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવતા જણાવ્યું હતું કે, ટેક્નોલોજીમાં આપણે પાછળ હતા. પરંતુ 9 વર્ષમાં આપણે આ ક્ષેત્રમાં ઘણાં આગળ વધી ગયા છે. હવે ભારતની ઓળખ આત્મનિર્ભર દેશના રૂપમાં થઈ રહી છે. 12 કરોડ લોકોને નળથી જળ પહોંચાડાયું છે. ઉજ્જવલા યોજના અંતર્ગત 9.60 કરોડ ગેસ કનેક્શન, 80 કરોડ લોકોને રાશન પહોંચાડવામાં આવી રહ્યું છે. 11.90 કરોડ ઘરમાં શૌચાલય બનાવાયા છે. 50 કરોડ લોકોના આયુષ્માન યોજના કાર્ડ બનાવાયા છે અને 11 કરોડ ખેડૂતોને પ્રતિ વર્ષ રૂા.6 હજાર આપવામાં આવી રહ્યા છે.રાષ્ટ્રીય પછાત વર્ગને સંવૈધાનિક માન્યતા આપવામાં આવી છે. 68 વર્ષોમાં ફક્ત 74 એરપોર્ટ બન્યા હતા. જ્યારે 9 વર્ષમાં બીજા 74 એરપોર્ટ અને હેલીપેડ બની ચુક્યા છે. આવતા 30 વર્ષમાં ભારતને ડ્રોન હબ બનાવવાનું લક્ષ હોવાનું પણ જણાવ્યું હતું.
2014 પહેલાં ફક્ત 12 કિલોમીટર પ્રતિદિન સડકનું નિર્માણ થતું હતું જેમાં હવે 500 ટકાના વધારા સાથે દરરોજ 37 કિલોમીટર હાઈવે બની રહ્યા છે. 2014 સુધી ફક્ત 90 હજાર કિલોમીટર હાઈવે હતો. છેલ્લા 9 વર્ષમાં 53 હજાર કિલોમીટર હાઈવે તૈયાર થઈ ચુક્યા છે. 2014 સુધી 248 કિલોમીટર મેટ્રો લાઈન હતી જ્યારે 8 વર્ષમાં 860 કિલોમીટર મેટ્રો લાઈન તૈયાર થઈ ચુકી છે. 2014માં ફક્ત પાંચ શહેરોમાં મેટ્રો લાઈન હતી જ્યારે હવે 15 શહેરોમાં મેટ્રો લાઈનની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ તમામ કામો ભારતની વિરાસતને આગળ લઈ જવા માટે થઈ રહ્યા છે. આ વર્ષના અંત સુધી રામ મંદિર બની જશે. કેદારનાથ, બદ્રીનાથ ધામનો વિકાસ, પૂર્વોત્તર રાજ્યોનો વિકાસ થઈ રહ્યો છે. 2000 મેગવોટથી વધુની ક્ષમતા વાળો સોલર પ્લાન્ટ રાજસ્થાનમાં લાગી રહ્યો છે. અમૃત કાળ (2023) થી શતાબ્દિ વર્ષ (2047) સુધી ભારત વિશ્વ ગુરૂ બનશે એવો વિશ્વાસ પણ શ્રી જીતુભાઈ વાઘાણીએ વ્યક્ત કર્યો હતો.
પત્રકાર પરિષદમાં દમણ-દીવના સાંસદ શ્રીલાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશ આગરિયા, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અને દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, સોશિયલ મીડિયા ઈન્ચાર્જ શ્રી મજીદભાઈ લધાણી સહિત ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.