-
પ્રદેશની આઝાદી બાદ પહેલી વખત લોકોને સાચા સારા અને ટકાઉ વિકાસની ખબર પડેલી વ્યાખ્યા
-
‘સ્વચ્છતા’થી લઈ સર્વાંગી વિકાસ સુધીની દાનહ અને દમણ-દીવે આદરેલી સફર
આગામી સપ્તાહે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી થવાની છે. ત્યારે 2 ઓક્ટોબર-2014ની સ્મૃતિ માનસપટ ઉપર આવી જવી સ્વભાવિક છે. કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2 ઓક્ટોબર-2014થી ઐતિહાસિક ‘સ્વચ્છભારત’ અભિયાન શરૂ કર્યું હતું. આજે 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પણ સ્વચ્છતાની બાબતમાં ગૌરવ લઈ શકે એ સ્થિતિમાં છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવની વાત કરવામાં આવે તો દમણનો દરિયા કાંઠો ફક્ત પ્રદૂષિત જ નહીં હતો, પરંતુ સવારે કુદરતી હાજતે જનારાઓની લાંબી કતાર કિનારા ઉપર જોવા મળતી હતી. સવારે દરિયા કિનારે મોર્નિંગ વોક કરનારાઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે તે પ્રકારની સ્થિતિ હતી. પરંતુ આ પ્રથાને સુધારતાં 2014 થી લઈને બીજા બે-અઢી વર્ષ લાગ્યા છે.
જ્યારથી સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલનું આગમન 29મી ઓગસ્ટ, 2016માં થયું ત્યારથી લઈને આજ સુધી તેમણે કરેલા ઉપાયોના કારણે આજે દરિયા કિનારે ભાગ્યે જ કોઈ કુદરતી હાજતે જતું જોવા મળે છે. આજે દરિયા કિનારો સ્વચ્છ સાફ અને રળિયામણો બન્યો છે. જેનું મુખ્ય કારણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની અધિકારીઓ, પ્રજાના પ્રતિનિધિઓ અને પ્રજા પાસે પણ કામ લેવાની આગવી ત્રેવડ છે.
છેલ્લા નવ વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવને ભારત સરકારે ખોબલા ભરી ભરીને આપવામાં કશું બાકી રાખ્યું નથી. આઝાદી બાદ પહેલી વખત લોકોને સાચા સારા અને ટકાઉ વિકાસની વ્યાખ્યા પણ ખબર પડી છે. જે તે સમયેબનતા રોડ માંડ છ-આઠ મહિનામાં બિસ્માર બનતા હતા. પરંતુ હવે બનતા રોડ દરેક સિઝનમાં વરસો-વરસ ચાલે એવા બની રહ્યા છે. રોડના નિર્માણ કાર્યમાં વિલંબ અવશ્ય થયો છે, પરંતુ હવે જે રોડ બનશે તેને લોકો લાંબો સમય યાદ કરશે એમાં કોઈ સંદેહ નથી. કારણ કે, પ્રશાસનમાં ચાલતી કટકી પ્રથા લગભગ સદંતર બંધ થઈ ચુકી છે અને જ્યાં છે તે પણ બંધ થવાની કગાર ઉપર છે. જેના કારણે ગુણવત્તાવાળા અને લાંબો સમય ટકી શકે એવા કામો થઈ રહ્યા છે.
વરસાદ બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવના કેટલાક બાકી રહેલા પ્રોજેક્ટોમાં પણ સંપૂર્ણ ગતિ આવશે એવી ધારણાં છે અને 10 વર્ષના એક દાયકામાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોતાના આગામી ત્રણ દાયકા(30વર્ષ)ને સલામત કરશે એમાં કોઈ શંકા નથી.
સોમવારનું સત્ય
સંસદમાં મહિલા વંદન અધિનિયમ બિલ પાસ થવાથી 2029ની લોકસભા ચૂંટણીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠક પણ મહિલા માટે આરક્ષિત રહી શકે છે. દાનહમાં જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ શ્રીમતી નિશા ભવર, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી રજની શેટ્ટી, દમણ-દીવમાં દમણ જિ.પં.ના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, શ્રીમતી રીનાબેન હરિશ પટેલ, શ્રીમતી મૈત્રીબેન જતિન પટેલ, શ્રીમતી અમી કેતન પટેલ, શ્રીમતીહિતાક્ષી જીજ્ઞેશ પટેલ, શ્રીમતી સિમ્પલબેન કાટેલા, શ્રીમતી ઉર્વશીબેન જયેશ પટેલ વગેરે રેસમાં હોવાનું માનવામાં આવે છે અને 2024ની ચૂંટણી બાદ વસતી ગણતરીની સાથે લોકસભા બેઠકોના ડીલિમિટેશનની પણ કાર્યવાહી થવાની હોવાથી સંભવતઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવ મળીને એક બેઠક થવાની પુરી શક્યતા છે.