ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડેના વ્યક્તિ સુધી પહોંચાડવા વ્યક્ત કરાયેલી પ્રતિબધ્ધતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : આજે દાદરા નગર હવેલીના ખાનવેલ પંચાયત ખાતે બિરસા મુંડા શાળા પરિસરમાં પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી કૌશલ કિશોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની કેટલીક સિદ્ધિઓ અને વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે મંત્રી શ્રી કૌશલ કિશોરે સરકારની વિવિધ વિકાસ યોજનાઓને છેવાડાના લાભાર્થી વ્યક્તિઓ સુધી પહોંચાડવાની કટિબદ્ધતા દર્શાવી હતી. દરમિયાન તેમણે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું અને પ્રચાર સાહિત્યનું અવલોકન કર્યું હતું અને સરકારી યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહક ટ્રોફી અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે શાળા પરિસરમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવા માટે સંઘપ્રદેશ પ્રશાસનના વિવિધ વિભાગો દ્વારાસ્ટોલ લગાવાયા હતા જેની મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી જેમાં આરોગ્ય વિભાગના સ્ટોલ પર તબીબી તપાસ પણ કરાવી હતી. ત્યારબાદ અત્રે ઉપસ્થિત તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, સ્ટોલધારકો, લાભાર્થીઓને ‘વિકસિત ભારત’ના શપથ લેવડાવ્યા હતા.
આ અવસરે દાનહ જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર, સેલવાસના એ.ડી.એમ. સુશ્રી ચાર્મી પારેખ, સેલવાસના આર.ડી.સી. શ્રી અમિત કુમાર અને ખાનવેલના આર.ડી.સી. શ્રી શુભાંકર પાઠક, પ્રશાસનના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહીત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.