ગણેશ મહોત્સવમાં ગણેશજીની સ્થાપના કરી આરતી પૂજા બાદ ભક્તો વિસર્જન કરે છે પરંતુ વિસર્જીત મૂર્તિઓની હાલત બેહાલ જોવા મળી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.27: હાલમાં વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ ગણેશ મહોત્સવની ધુમ ચાલી રહી છે. ગણેશ ચતુર્થીના દિવસથી પ્રારંભ થયેલ આ ઉત્સવમાં દોઢ, ત્રણ, પાંચ દિવસીય શ્રીજીની મૂર્તિઓ ઘરોમાં સોસાયટીઓમાં શ્રદ્ધાપૂર્વક સ્થાપિત કરી આરતી, પૂજા, પ્રસાદ દરરોજ કરવામાં આવે છે ત્યાર બાદ ગણેશજીની મૂર્તિઓ નદી, દરિયા કિનારે ધુમધામથી વિસર્જીત કરવામાં આવે છે. પરંતુ શ્રધ્ધાના દેવ માનેલા વ્હાલા ગણેશજીની તેવી વિસર્જીત કરાયેલી મૂર્તિઓ ક્ષત-વિખત હાલતમાં દમણના દરિયા કિનારે રજળતી જોવા મળી રહી છે.
ગણેશ મહોત્સવએ મોટો ધાર્મિક તહેવાર છે. ગણેશજીની મૂર્તિઓની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવે છે. બાદમાંભાવપૂર્વક નદી, ઓવારા કે દરિયા કિનારે વિસર્જીત કરવામાં આવી રહી છે. પરંતુ વિસર્જીત કરાયેલી ગણેશની મૂર્તિઓ પાછળથી બેહાલ સ્થિતિમાં રઝળતી દમણ દરિયા કિનારે જોવા મળી રહી છે. મૂર્તિઓની આ હાલત જોઈને શ્રધ્ધાળુઓની પારાવાર લાગણી દુભાઈ રહી છે.