(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દમણની નાનાસહોટલના નટરાજ ગેસ્ટહાઉસમાં ગઈકાલે બે પ્રવાસી પિતા અને તેના પુત્રનું વિજળીનો કરંટ લાગતાં દર્દનાક મોત થવાની ઘટના સામે આવતાં હોટલ સંચાલકની બેદરકારી સામે આક્રોશ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણની નાનાસ હોટલના નટરાજ ગેસ્ટહાઉસમાં હોટલના બાથરૂમમાં બે પ્રવાસી (1)શ્રીકાંત વાઘેલા (ઉ.વ.35) અને (2)તેનો પુત્ર સિનોન(ઉ.વ.6)ને ગિઝરમાં રહેલી ક્ષતિના કારણે શોક લાગતાં ઘટના સ્થળે જ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ દમણ જિલ્લા કલેક્ટર શ્રી સૌરભ મિશ્રાએ દમણની તમામ હોટલો અને ગેસ્ટહાઉસોમાં વિદ્યુત સુરક્ષાને લઈ ઓડિટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે અને દમણ પોલીસે હોટલને સીલ કરી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતના નડિયાદ ખાતે રહેતા શ્રીકાંત વાઘેલા અને તેમનો પુત્ર સિનોન પરિવાર સાથે દમણ ફરવા આવ્યા હતા અને દમણની નાનાસ હોટલના નટરાજ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. ગઈકાલે સાંજે 4:00થી 4:30 વાગ્યે હોટલના રૂમ નંબર 301માં બાથરૂમમાં ન્હાવા ગયેલા પિતા અને પુત્રને કરંટ લાગતાં તેને બચાવવા માટે પત્નિ પણ ગઈ હતી, પરંતુ સદ્ભાગ્યે કરંટથી દૂર હડસેલાતાં તેણીનો જીવ બચી શક્યો હતો. પરંતુ આ ઘટનામાં પોતાના પતિ અને પુત્રએ જીવગુમાવ્યો હતો.
દમણ પોલીસે આઈપીસીની વિવિધ કલમો અંતર્ગત હોટલ મેનેજમેન્ટ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી સૌરભ મિશ્રાએ એક આદેશ જારી કરી દમણની તમામ હોટલો અને ગેસ્ટ હાઉસોને 7 દિવસની અંદર ઈલેક્ટ્રીક સેફટી ઓડિટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે.