(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ગાંધીનગર, તા.28 : જીનીવા સ્થિતવર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થાનના સહયોગમાં રહી સને 1999થી તારીખ 29 સપ્ટેમ્બરના દિવસને ‘વિશ્વ હૃદય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીમાં અત્યાર સુધીમાં વિશ્વના 100થી પણ વધારે દેશો સામેલ થયા છે. આ દિવસની મહત્તા કાયમ બની રહે અને તે માટેનો સંદેશ હેતુ આમ જનતા સુધી પહોંચે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર હેઠળ માનદ્ સેવાઓ આપતા પારા લીગલ વોલ્યુન્ટીયરસ શ્રી અનિલ કક્કડ દ્વારા તેમને મળેલ સત્તાવાર કાર્યક્રમ મુજબ સરકારી આર્ટસ કોલેજ, ગાંધીનગર ખાતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનોપા ચૌહાણ, પ્રોફેસરો અને વિદ્યાર્થિઓની ઉપસ્થિતિમાં મુખ્ય પ્રવક્તા શ્રી અનિલ કક્કડએ પોતાના પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેસનથી આકળતિઓ, આંકડાકીય માહિતી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ થઈ રહેલા અધ્યતન સંશોધનોની વિગતો ટાંકી હતી. હૃદય રોગ માટેના જવાબદાર ગણી શકાય તેવા પરિબળો જેવા કે હાઇબ્લડ પ્રેસર, કોલેસ્ટેરોલ, બ્લડ સુગર, ધુમ્રપાન અને તમાકુનું સેવન, સ્થૂલતા, કસરતનો અભાવ, સ્ટ્રેસ અને સ્ટ્રેઇન, ફાસ્ટ ફૂડ અને અસમતુલિત ખોરાકને ક્રમાનૂસાર અલગ તારવી દરેક મુદ્દા ઉપર સવિસ્તર સમજૂતી આપી હતી. આહાર-વિહાર, વિચાર, વ્યાયમઅને ઔષધ બાબતે જો કોઈ માણસ સાવચેતી વર્તે તો લાંબો સમય સુધી પોતાનું રાબેતા મુજબનું જીવન શક્યા બનાવી શકે તેમ છે.
કૌટુંબિક ઇતિહાસ ધ્યાનમાં લઈ, શારીરિક તપાસ, થોડા બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ઇસીજી એ હૃદય રોગ અને હાર્ટ ફેલ્યોરના નિદાન અને સારવાર માટેની તેઓએ અસરકારક પધ્ધતિ ગણાવી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કેસ ખૂબ જ નોંધ પાત્ર રીતે વધી રહ્યા છે ત્યારે હાલના યુવાનોમાં આ બાબતે જન જાગૃતિ અનિવાર્ય બની છે. જન્મજાત હૃદયરોગનાં વધતા જતા પ્રમાણને પણ ખાસ કિસ્સા તરીકે લઈ તે માટેના કારણો, તબીબી તપાસ અને સાવચેતીની બાબત ઉપર પણ શ્રી કક્કડએ પુરતો સમય ફાળવ્યો હતો. આ કામગીરીને સફળ બનાવવા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનોપા ચૌહાણ અને સીનીયર પ્રોફેસર શ્રી વનરાજ સિંહ જાડેજા તરફથી ઉત્સાહપૂર્વક રસ દાખવી તમામ સવલતો પુરી પાડવામાં આવી હતી.