‘‘સેવા પખવાડા”ના ઉપલક્ષમાં સેલવાસના નમો મેડિકલ કોલેજ અને સંશોધન સંસ્થા ખાતે આયોજીત તાલીમ કાર્યક્રમમાં પ્રદેશના તમામઆરોગ્ય કેન્દ્રના આરોગ્ય અધિકારીઓ, સામુદાયિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ(CHOs) અને આંગણવાડીના કાર્યકર્તાઓની રહેલી હાજરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ આરોગ્ય સચિવ ડૉ. અરુણ ટી.ના નેતૃત્વમાં ‘આયુષ્માન ભવઃ’ અભિયાન અંતર્ગત સંપ્રદેશમાં કુપોષણના વિરૂદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના સંદર્ભમાં 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર-2023 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આયુષ્માન ભવઃ, સ્વચ્છતા, રક્તદાન શિબિર અને અંગદાન વિશે જાગૃતિ જેવા અભિયાનો સામેલ છે. આ અભિયાનોને સફળ બનાવવા માટે પ્રશાસકશ્રીના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ પ્રદેશના આરોગ્ય સલાહકાર ડૉ. વી.કે.દાસે નમો મેડિકલ કોલેજ અને સંશોધન સંસ્થા ખાતે આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓ, સામુદાયિક આરોગ્ય અધિકારીઓ(CHOs), આંગણવાડીના કાર્યકર્તાઓ માટે વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. વી.કે.દાસે કુપોષણની નાબૂદી માટે ચલાવવાઈ રહેલ ઝૂંબેશને સફળ બનાવવા માટે હવે પછી લેવાનારા પગલાંની રૂપરેખા તૈયાર કરવામાં આવી અને તે મુજબ તમામ ગ્રામપંચાયતો માટે ગ્રાસરૂટ લેવલની ટીમ બનાવવા માટે નિર્દેશો આપવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારી, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના સામુદાયિક તબીબી અધિકારી(CHOs) તથા આંગણવાડીના કાર્યકર્તાઓ સામેલ થશે.
‘આયુષ્માન ભવઃ’ અભિયાન અંતર્ગ ‘આયુષ્માન આપકે દ્વાર 3.0’નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જેમાં ‘પ્રધાનમંત્રી આયુષ્માન ભારત’ યોજના હેઠળના લાભ લેવા યોગ્ય વંચિત લાભાર્થીઓની નોંધણી કરીને તેમને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવશે. જેમાં કુલ 316 કુટુંબોના 6000થી વધુ લાભાર્થી હજુ પણ યોજનાનો લાભ લેવાથી વંચિત રહ્યા છે.
અભિયાન અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે આયુષ્માન મેળાનું પણ આપયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ આયુષ્માન મેળા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જેમાં પહેલા અઠવાડિયામાં ડાયાબિટિશ, હાઈપરટેંશન જેવા બીનચેચી રોગોના જાગૃતિ કાર્યક્રમ અને તપાસ તથા સારવાર, બીજા અઠવાડિયામાં ટી.બી.(ક્ષય), રક્તપિત્ત જેવા ચેપી રોગોના નિયંત્રણ અને રોકથામ માટે સ્ક્રીનિંગ અને જાગૃતિ અભિયાન, ત્રીજા અઠવાડિયામાં ગર્ભવતી મહિલાઓ અને બાળકોમાં કુપોષણના નિવારણ માટે સ્ક્રીનિંગ તથા જાગૃતિ કાર્યક્રમ અને ચોથા અઠવાડિયામાં સિકલ સેલએનિમિયાના માટે સ્ક્રીનિંગ તથા કાર્ડનું વિતરણ અને જાગૃતિ કાર્યક્રમ યોજાશે.
અત્રે યાદ રહે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સીધી નજર હેઠળ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં પ્રદેશમાં કુપોષણની સમસ્યા વહેલામાં વહેલી નાબૂદ થાય એ દિશામાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન તમામ રીતે પ્રયાસરત અને કટિબધ્ધ છે.