(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી અજાણ્યા યુવાને મોબાઈલ પર વાત કરતા કરતા નદીમાં ઝંપલાવી દીધું હતું જેને એક કલાકની ભારે જહેમત બાદ ફાયરફાઈટર વિભાગની ટીમે યુવાનની લાશને શોધી કાઢી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દમણગંગા નદીના પુલ પર પગદંડી રસ્તા પર નરોલી તરફથીએક યુવાન એના મોબાઈલ પર વાત કરતો કરતો ચાલી રહ્યો હતો એણે અચાનક નદીમાં ઝંપલાવી દીધું હતું. જે યુવાનને ત્યાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસે જોયો હતો અને તાત્કાલિક ફાયરફાઈટર વિભાગને ફોન કરતા પોલીસ અને ફાયરફાઈટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સેફટી બોટ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ યુવાનની લાશ બ્રિજના નીચેના ભાગેથી મળી આવી હતી.
આ યુવાનની ઉંમર અંદાજીત 22 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાન ક્યાં રહે છે અને ક્યાંથી આવી કયા કારણોસર નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી એ અંગેની જાણકારી મળવા પામેલ નથી. હાલમાં યુવાનની લાશનો પોલીસે કબ્જો લઈ સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અઠવાડીયામાં આ બીજા યુવાને નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. આ દમણગંગા નદીનો પુલ સુસાઇડ પોઇન્ટ બની ગયો છે. પ્રદેશની વિવિધ સંસ્થાઓ દ્વારા આ પૂલની બન્ને સાઈડ પર જાળી લગાવવા માટે વારંવાર પ્રશાસનને રજૂઆતો કરવા છતાં પણ પ્રશાસન દ્વારા દુર્લક્ષ સેવી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સ્યુસાઈટ પોઈન્ટ બનેલા આ દમણગંગા નદીના પુલ પરથી ઘણા યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે જેનેઅટકાવવા માટે પ્રશાસન નિંદ્રામાંથી જાગે અને હવે તો જાળી લગાવવામાં આવે એવી લોકોની બુલંદ માંગ ઉઠી રહી છે.