(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: આખો દેશ જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, તેની સામે દાદરાનગર હવેલીના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા બાપુને ભુલાયા છે. સેલવાસમાં જૂના ટાઉન હોલ કે જેને તોડી પડાયો હતો એની બાજુમાં સચદેવ બાલ ઉદ્યાન આવેલું હતું. બાલ ઉદ્યાન અને ટાઉન હોલને તોડી પાડવામાં આવેલ અને ત્યા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવનાર છે. આ ઉદ્યાનમાં આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલી છે. બાલ ઉદ્યાનને હાલમા બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ, ગાંધીજીની આ પ્રતિમા ત્યાં ધૂળ ખાઈ રહી છે. આજુબાજુ જંગલી કચરો ઊગી નીકળ્યો છે. દેશની આઝાદી માટે મહત્વનો ફાળો આપનાર ગાંધીજી જેવા વૈશ્વિક આગેવાનને પ્રશાસન નજર અંદાજ કરી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. ગાંધી જયંતિના દિવસે જ ગાંધીજી યાદ કરી વિવિધ કાર્યક્રમો કરે છે પરંતુ અહીં જે મૂર્તિ રાખવામાં આવેલ છે એની આજુબાજુ સ્વચ્છતા રાખવામાં આવતી નથી. માહાત્મા ગાંધીજીને સ્વચ્છતા ગમતી, પ્રધાનમંત્રી દ્વારા પણ સ્વચ્છતા અભિયાન વખતે ગાંધીજીને યાદ કરવામાં આવે છે એવામાં એમની પ્રતિમાની આજુબાજુ જંગલી છોડ ઊગી નીકળેલા છે, તેમજ ધૂળ ખાઈ રહી છે એ ચોક્કસ પણે એમનું અપમાન કહી શકાય. પ્રશાસન ગાંધીજીની પ્રતિમાને માન જાળવે અથવા તો માનભેર એની જગ્યા બદલવામાં આવે જેથી ગાંધીજીનું માન જળવાઈ રહે. અને હાલના અધિકારી,પ્રતિનિધિઓ દ્વારા બાપુની મૂર્તિને યોગ્ય સ્થાન આપવામાં આવે એ જરૂરી છે.