દમણ જિ.પં.ના પ્રમુખ જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલ, દાનહ જિ.પં. પ્રમુખ દામજીભાઈ કુરાડા, દાનહ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા સહિત કેટલાક સરપંચો, જિ.પં. સભ્યો તથા બી.ડી.ઓ.,ડી.પી.ઓ. અને સેક્રેટરીની રહેલી ઉપસ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.01 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શનિવારે નવી દિલ્હી ખાતે ભારત મંડપમ્થી નીતિ આયોગ અંતર્ગત આકાંક્ષી જિલ્લાઓ માટે ‘સંકલ્પ સપ્તાહ’નો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલી અને દમણના જિલ્લા અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતના27 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોના 500 બ્લોક્સને આકાંક્ષી બ્લોક કાર્યક્રમમાં આવરી લેવાયા હતા. જે પૈકી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બે બ્લોક દમણ અને દાદરા નગર હવેલીને પણ સામેલ કરાયા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મિશન મોડમાં કામ કરી એક વર્ષની અંદર 500 મહત્ત્વાકાંક્ષી બ્લોક્સ પૈકી ઓછામાં ઓછા 100 બ્લોક્સને ઈન્સ્પિરેશનલ બ્લોક બનાવવા પ્રેરિત કર્યા હતા. તેમણે 2024માં ફરી ઓક્ટોબર-નવેમ્બરમાં ફિઝિકલી મળી કાર્યક્રમનો હિસાબ-કિતાબ કરવા અને ઓડિયન્સમાં બેસીને 10 લોકોની સફળતાની વાતો સાંભળવાની ઈચ્છા રાખતાં ઉપસ્થિત તમામ લોક પ્રતિનિધિઓમાં આનંદ અને ઉમંગની લાગણી ફેલાઈ જવા પામી હતી.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંથી દાનહ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, આટિયાવાડ ગ્રા. પં.ના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, કચીગામ ગ્રા.પં.ના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, દમણવાડાના સરપંચ શ્રીમતી મુકેશ ગોસાવી, દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, ખરડપાડાના સરપંચ શ્રી દામુભાઈ બડઘા, સાયલી ગ્રા.પં.ના સરપંચ શ્રીમતી કુંતાબેન વિષ્ણુભાઈ વરઠા, ખાનવેલ ગ્રા.પં.ના સરપંચ શ્રી મારિયાભાઈવિલાત, દૂધની ગ્રા.પં.ના સરપંચ શ્રી મહેશભાઈ ખુલાત, નરોલી ગ્રા.પં.ના સભ્ય શ્રી યોગેશસિંહ સોલંકી, દમણના બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરા, દાનહના ડી.પી.ઓ. શ્રી મિતેશ પાઠક, મગરવાડાના ગ્રા.પં. સેક્રેટરી શ્રી આનંદ પાંચાલ, નરોલીના ગ્રા.પં. સેક્રેટરી શ્રી મનોજ રાઉત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.