-
પશુપાલકો નહીં ચેતશે તો ફોજદારી કાર્યવાહી પણ કરાશેઃ ચીફ ઓફિસર
-
રખડતા પશુને પકડી આર.એફ.ડી.આઈ ચીપ પણ લગાવાઈ રહી છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 29: ઉમરગામ શહેરમાં જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોરને કારણે ટ્રાફિક જામ અને નાગરિકોના જીવને જોખમ હતું. જેથી ઘણા લાંબા સમયથી રખડતા ઢોરને પકડવા માટે માંગ ઉઠી હતી. જેથી ઉમરગામ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
શહેરમાં રખડતા ઢોરના કારણે લોકો હેરાન થઈ રહ્યા હતા. જાહેર રસ્તા પર ઢોરના અડીંગાના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો બનાવો પણ વધી રહ્યા હતા. જેથી ઉમરગામ પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાતા તા. 29 ઓગસ્ટે 6 રખડતા ઢોર પકડી પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. આ અંગે ઉમરગામ પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે જણાવ્યું કે, નામદાર હાઈકોર્ટ અને સરકારશ્રીના આદેશ અન્વયે હાથ ધરાયેલી આ કામગીરી હવે સતત ચાલુ રહેશે. રખડતા ઢોરને પકડી આર.એફ.ડી.આઈ ચીપ લગાવવામાં આવી રહી છે. પશુપાલકોને વિનંતી છે કે, તમારા રખડતા ઢોરને જાહેર રસ્તા પર નહીં રાખી તમારા કબજામાં રાખો, નહીંતર રખડતા પશુઓને પકડી પશુપાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જરૂર જણાય તો ફોજદારી કાર્યવાહી કરવાની પણ પાલિકાને ફરજ પડશે. જેની તમામ પશુપાલકોએ નોંધ લેવી.