ગાંધી જયંતી દિનની ઉજવણી નિમિત્તે સમગ્ર તાલુકો સ્વચ્છતા અભિયાનની કામગીરીમાં જોતરાયેલો છે જ્યારે બીજી તરફ જીપીસીપી અધિકારીઓની સાવરવાની નીતિને પરિણામે પ્રદૂષણ માફિયાઓએ રાત્રી દરમિયાન એકલારાના આંતરિક માર્ગ ઉપર ઘન કચરો ઠાલવ્યો હોવાની સામે આવેલી ઘટના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામ તાલુકાના એકલારા ખાતે ગત રાત્રિના દરમિયાન આંતરિક માર્ગ ઉપર કોઈ કંપનીના ઘન કચરાનો નિકાલ કરવામાં આવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. આ ઘટનાની જાણકારી યુવા શક્તિ સંગઠનના પ્રમુખ શ્રી મિતેશભાઈ પટેલને કરવામાં આવતા એમણે જીપીસીપી ગાંધીનગર તેમજ સભ્ય સચિવ શ્રી અને જિલ્લા કલેકટરને લેખિત ધ્યાન દોરી દોષિતો સામે પગલાં ભરવાની માગણી કરી છે. આ ઘટનામાં જીપીસીપી સરીગામ કચેરીના અધિકારીઓને જાણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
બે દિવસ પહેલા અંકલાશ અને ઝરોલીપંચાયત હદમાંથી પસાર થતી રોષના ખાડીમાં માછલીઓ મરી જવાની ઘટના સામે આવી હતી. આમ પ્રદૂષણ ફેલાવવાની ઘટનાઓ હવે લગાતાર સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા માંડાના માજી સરપંચ શ્રી પ્રભુભાઈ ઠાકરીયા એક કંપની સામે ધ્વનિ પ્રદૂષણની જીપીસીપીને ફરિયાદ કરી હતી. પરંતુ આ ફરિયાદ સામે ફરિયાદી માજી સરપંચ શ્રી પ્રભુભાઈ ઠાકરીયા ફરિયાદની થોડી ક્ષણમાં કંપનીના સંચાલકનો ફોન આવ્યો હતો. જેના ઉપરથી સાબિત થાય છે કે જીપીસીપી પગલા ભરવા કરતા કંપનીઓને સાવરવામાં વધુ રસ છે. હવે આજરોજ એકલારા ખાતે ઘન કચરા નિકાલની બનેલી ઘટનામાં પણ કાર્યવાહી કરવામાં વિલંબ થતા જોવા મળી રહ્યો છે. જેમાં પણ અસરકારક કામગીરી કરવામાં આવશે કે કેમ એની સામે સવાલ ઉભો થઈ રહ્યો છે.