હોટલ સંચાલક દ્વારા ઈલેક્ટ્રીકલ ઈક્વિપમેન્ટ્સ અને સિસ્ટમના મેઈન્ટેનન્સમાં ઘોર ઉદાસિનતા રખાઈ હોવાનું તારણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : નાની દમણના ન્યુ નટરાજ ગેસ્ટ હાઉસ(હોટલનાનાસ પેલેસ)ના સંચાલકોની અક્ષમ્ય ગુનાહિત બેદરકારીના કારણે બે વ્યક્તિઓના ઈલેક્ટ્રીક શોક લાગવાથી થયેલા મોતના કારણે સંઘપ્રદેશના પ્રવાસન વિભાગે હોટલનું રજીસ્ટ્રેશન રદ્ કરવાનો આદેશ જારી કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત તા.30મી સપ્ટેમ્બરના શનિવારે ગુજરાતના નડિયાદથી આવેલ શ્રીકાંત વાઘેલા અને તેના છ વર્ષના પુત્ર સિનોનનું હોટલના બાથરુમમાં શોક લાગવાથી કરૂણ મૃત્યુ થયું હતું. જેના સંદર્ભમાં નાની દમણ પોલીસ સ્ટેશનમાં હોટલ નાનાસ પેલેસના જવાબદાર સંચાલકો સામે આઈપીસીની વિવિધ ધારા હેઠળ ફરિયાદ પણ નોંધવામાં આવેલ છે.
શોક લાગવાની ઘટનામાં હોટલ સંચાલકે ઈલેક્ટ્રીકલ ઈક્વિપમેન્ટ્સ અને સિસ્ટમના મેઈન્ટેનન્સમાં રાખેલી ઘોર ઉદાસિનતાના કારણે બે વ્યક્તિના મોત થતાં સંઘપ્રદેશ પ્રશાસનના પ્રવાસન વિભાગે દાદરા નગર હવેલી અને દમણ-દીવ રજીસ્ટ્રેશન ઓફ ટુરિસ્ટ એક્ટ 1982ના પ્રોવિઝન અને બનેલ રૂલ્સ મુજબ તાત્કાલિક અસરથી ન્યુ નટરાજ ગેસ્ટ હાઉસ હોટલ નાનાસ પેલેસના રજીસ્ટ્રેશનને રદ્ કરવાનો આદેશ જારી કરાયો છે.