આ પ્રકારની છેડછાડની ઘટનાને તંત્ર દ્વારા ગંભીરતાથી લઈ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.04: ચીખલી તાલુકામાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ દરમિયાન ‘મેરી માટી, મેરા દેશ’ના 9 થી 15 ઓગસ્ટ દરમિયાન યોજાયેલ કાર્યક્રમમાં દરેક ગામોમાંથી માટી એકત્ર પંચ પ્રાણ લેવડાવી દેશની આઝાદીમાં યોગદાન આપનારના પરિવારજનોનું સન્માન કરી પથ્થરની તકતી લગાવવામાં આવી હતી અને જેના ઉપર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ, તારીખ, ગ્રામ પંચાયતનું નામ માતૃભૂમિની સ્વતંત્રતા અને તેના ગૌરવની રક્ષા માટે બલિદાન આપનાર તમામ વીરોને શત્ શત્ નમન તેવું લખાણ લખવામાં આવ્યું હતું.
આ પ્રકારની તકતી થાલામાં પણ તળાવની પાળે તા.10/08/23ના રોજ લગાવવામાં આવી હતી. આ પથ્થરની તકતીપરથી લખાણ ગાયબ થઈ જવા પામ્યું છે. ત્યારે કોઈએ તકતી સાથે ચેડા કરી આ લખાણ કોઈ પૂર્વગ્રહ રાખીને ગાયબ કરી દેવામાં આવ્યું હોય તેમ લાગે છે. ત્યારે સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ જેવા કાર્યક્રમ દરમિયાન લગાવવામાં આવેલ તકતી પરથી આ રીતે લખાણ ગાયબ થઈ જવાની બાબતને તંત્ર દ્વારા ગંભીરતાથી લઈ સમગ્ર મામલે તપાસ કરાવી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. માંડ બે મહિના જેટલાના ટૂંકા ગાળામાં જ પથ્થરની તકતી સાથે થાલામાં છેડછાડ કરવામાં આવી છે. ત્યારે તંત્રએ અન્ય ગામોમાં પણ આ તક્તિની સ્થિતિની તપાસ કરાવવી જોઈએ.