સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને દિશા-નિર્દેશ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીથી નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્લોક કાર્યક્રમ ‘સબકી આકાંક્ષા, સબકા વિકાસ’ અંતર્ગત ‘સંકલ્પ સપ્તાહ’ના ઉપક્રમે દાનહ અને દમણ-દીવના કૃષિ વિભાગ દ્વારા એક દિવસીય કૃષિ મહોત્સવનું થયેલું આયોજન
દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ, દમણ જિ.પં.ના અધ્યક્ષ જાગૃતિબેન પટેલ, દાનહ જિ.પં.ના અધ્યક્ષ દામજીભાઈ કુરાડા સહિત જિ.પં. સભ્યો, સરપંચો, પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલા તથા અધિકારીઓ અને જાગૃત ખેડૂતો, વિદ્યાર્થીઓએ કૃષિ મેળાનો લીધેલો લ્હાવો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને દિશા-નિર્દેશ હેઠળ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીથી નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્લોક કાર્યક્રમ ‘સબકી આકાંક્ષા, સબકા વિકાસ’ અંતર્ગત તા.3 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર સુધી આયોજીત ‘સંકલ્પ સપ્તાહ’ના ઉપક્રમે આજે દમણ અને દાદરા નગર હવેલીના કૃષિ વિભાગ દ્વારા સરકારી કૃષિ ફાર્મ કચીગામ ખાતે એક દિવસીય કૃષિ મહોત્સવનુંઆયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, ખેડૂતો સહિત વિદ્યાર્થીઓને પ્રદેશે કૃષિ ક્ષેત્રે પણ ભરેલી હરણફાળના દર્શન થયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના કૃષિ વિભાગના નિર્દેશક શ્રી શિવમ તેવટિયાના નેતૃત્વમાં પ્રદેશના કૃષિ તથા પશુપાલન અને ફિશરીઝ વિભાગના સંયુક્ત ઉપક્રમે સરકારી ફાર્મ કચીગામ ખાતે વિશાળ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલા, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો, બાળ વિકાસ અને મહિલા કલ્યાણ વિભાગના સચિવ શ્રી ફરમન બ્રહ્મા, જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, એન્જિનિયરીંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ચૌધરી સહિત અધિકારીઓ, લોક પ્રતિનિધિઓ અને પ્રગતિશીલ ખેડૂતોએ ખુબ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
કૃષિ મહોત્સવમાં ઈમુ બર્ડ, કડકનાથ મરઘી, મધ તથા વિવિધ સેલ્ફ હેલ્પ ગ્રુપની પ્રોડક્ટોનું પણ પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવ્યું હતું. કૃષિ ક્ષેત્રના અદ્યતન ઓજાર જેમાં ભાતની કાપણી માટેનું મશીનથી લઈટ્રેક્ટર સુધીના સાધનોનો સમાવેશ થતો હતો.
પ્રાકૃત્તિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ ઓર્ગેનિક ખાતર, બિયારણ, ઓર્ગેનિક દવા, ડ્રીપ સિંચાઈ પધ્ધતિ સહિતના સ્ટોલો પણ કૃષિ મહોત્સવમાં પ્રદર્શિત કરાયા હતા.
ગાય-ભેંસના દૂધને દોહવા માટેના સંયંત્રો, ડેરી ઉદ્યોગ માટેની સાધન-સામગ્રી, ગોબરગેસ વગેરેની જાણકારી પણ આપવામાં આવી હતી.
દમણના કચીગામ ખાતેના સરકારી ફાર્મમાં કાળા ભાતના કરેલા વાવેતરને પણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું. પ્રદેશના કૃષિ વિભાગ દ્વારા લાંબા સમય બાદ કૃષિ ક્ષેત્રે સાધેલી પ્રગતિના દર્શન થતાં ઉપસ્થિત લોકો ખુબ જ આનંદિત થયા હતા અને પોતાના ખેતરમાં પણ પ્રાકૃત્તિક ખેતીને પ્રોત્સાહન આપવા પ્રેરિત થયા હતા.
કડકનાથ મરઘી અને ગીર ગાય ફાર્મ માટે સરકારની મળતી સહાયની પણ મળેલી માહિતીથી મોટાભાગના ખેડૂતો હવે કડકનાથ મરઘીપાલન અને ગીર ગાય ફાર્મના ધંધામાં હાથ અજમાવવાનું પણ સક્રિય રીતે વિચારતા થયા હતા.
સંઘપ્રદેશ પ્રશાસનના કૃષિ મહોત્સવના પ્રયાસને ખુબ જ વ્યાપક આવકાર મળ્યો હતો અને દિવસભરમાં લગભગ 3000 જેટલા લોકોએ કૃષિ મેળાની મુલાકાત પણ કરી હતી. આ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષના ઉપક્રમે વિવિધ મિલેટ્સના ઉત્પાદનો તથા મિલેટ્સથી બનતી વાનગીઓ સેલવાસનીકેટરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ પણ પ્રસ્તુત કરી હતી. આ પ્રકારના કૃષિ મેળાનું આયોજન થતું રહેવું જોઈએ એવી લાગણી પણ પ્રગટ થઈ હતી.