પારડી નગરપાલિકા અને શહેર ભાજપ દ્વારા અમૃત કળશ યાત્રાનું
પારડીમાં થયું ભવ્ય સ્વાગત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.08: સમગ્ર દેશમાં મારી માટી મારો દેશ અંતર્ગત ભારતભરના તમામ ગામડે ગામડે ફરી અમૃત કળશ યાત્રા દ્વારા સમગ્ર દેશની માટી એકઠી કરવામાં આવી રહી છે અને આ અમૃત કળશ યાત્રાની સમગ્ર દેશની માટીમાંથી દિલ્હી ખાતે દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તૈયાર થઈ રહેલ અમૃત વાટિકામાં આ સમગ્ર દેશની માટીનો ઉપયોગ કરી ‘‘મારી માટી મારો દેશ”નો ઉદ્દેશ સિદ્ધ કરવામાં આવશે.
હાલની સ્થિતિ અનુસાર આપણા સૌનો આઝાદી મળ્યા બાદજન્મ થયો હોય આઝાદી કેવી રીતે મળી તેનો પ્રત્યક્ષ અનુભવ આપણે અનુભવ્યો નથી પરંતુ લોકશાહીના દેશમાં સૌ નાગરિકોને જાણવાની ફરજ હોય છે કે આપણને આઝાદી કેવી રીતે મળી, આ આઝાદી માટે જેઓએ ત્યાગ અને સમર્પણ કરી પોતાની જાન ગુમાવી શહીદી વ્હોરી છે તેમને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારત દેશના તમામ ગામડામાંથી અમૃત કળશ યાત્રા દ્વારા ‘‘મારી માટી મારો દેશ” અંતર્ગત માટી મંગાવી દિલ્હી ખાતે અમૃત વાટિકા તૈયાર કરી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
આ કાર્યક્રમના ભાગરૂપે પારડીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ આજરોજ પારડી ખાતે અમૃત કળશ યાત્રા લઈ આવી પહોંચ્યા હતા. જ્યાં આ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પારડી નગર પાલિકાના ચીફ ઓફિસર બી.બી. ભાવસારે સૌ પ્રથમ અમૃત કળશ યાત્રામાં પારડીની માટી નાખ્યા બાદ પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ અમૃત કળશ યાત્રામાં પોતાની ગામની માટી કળશમાં નાખી દેશની આઝાદીમાં શહીદ વહોરનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે પારડી વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સહિત વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશ દેસાઈ, પારડી શહેર ભાજપપ્રમુખ રાજેશ પટેલ, પારડી નગપાલિકાના વહીવટદાર અને મામલતદાર આર.આર. ચૌધરી, પારડી નગર પાલિકા ચીફ ઓફિસર બી.બી. ભાવસાર, કેતન પ્રજાપતિ, મુકેશ પટેલ, દક્ષેશ પટેલ, અલી અન્સારી, દેવેન શાહ, સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.