-
ધોરણ 10થી 12નો સમયગાળો વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર માટે નિર્ણાયકઃ નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત
-
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા અપનાવવામાં આવેલી શિક્ષણને પ્રોત્સાહન આપવાની નીતિની ચોમેરથી પ્રશંસા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘સંકલ્પ સપ્તાહ’ અંતર્ગત સતત છેલ્લા 3 વર્ષથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં એસ.એસ.સી. બોર્ડના પરિણામમાં ટોપ કરી રહેલ દમણવાડા ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકોનું શાલ ઓઢાડી અને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘપ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આ સમયગાળો તેમના જીવનઘડતરમાં ખુબ જ મહત્ત્વનો છે. તેમણે શિક્ષકોને આગામી બોર્ડની પરીક્ષામાં 100 ટકા પરિણામ લાવવા પણ પ્રેરિત કર્યા હતા. શ્રી ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રામ પંચાયતના પ્રયાસની પણ સરાહના કરી હતી.દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે, દેશમાં મોદી સરકારના આગમન અને પ્રશાસકશ્રીના અખત્યાર બાદથી પ્રદેશમાં અધિકારીઓનું વર્ક કલ્ચર બદલાયું છે. આજે વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા અને કાળજી પ્રશાસન દ્વારા લેવામાં આવી રહી છે. શ્રી મુકેશ ગોસાવીએ દમણવાડા હાયર સેકન્ડરી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે પંચાયતે પણ કરેલા વિવિધ પ્રયાસોની જાણકારી આપી હતી અને સ્કૂલના આચાર્ય તથા શિક્ષકો દ્વારા બાળકોની લેવામાં આવતી કાળજી તથા એક પરિવારની ભાવનાથી અપાતા શિક્ષણની પણ સરાહના કરી હતી.
કાર્યક્રમનું સંચાલન કરતા શાળાના શિક્ષિકા શ્રીમતી બબીતા સુનિલ વર્માએ દમણવાડા પંચાયત દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા શરૂ કરેલી પહેલની જાણકારી આપી હતી. કાર્યક્રમની આભારવિધિ શ્રીમતી વિશલ પટેલે આટોપી હતી.
આ પ્રસંગે ઉપ સરપંચ શ્રી મિલન પટેલ, ગ્રામ પંચાયત સભ્ય શ્રી વિષ્ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, પંચાયત સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલ, સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.