મૃત્યુ બાદ પંચમહાભૂતમાં ભળી જતા નાશવંત શરીરને મેડિકલ એજ્યુકેશન માટે દાન આપવા પોતાના મૃત્યુ પહેલાં પ્રગટ કરેલી ઈચ્છાનું સ્વ.શ્રી પબ્બા જગદીશ્વરૈયાજીના પરિવારજનોએ પાલન કરી સેલવાસની નમો ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચને આપેલું દેહદાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : જેમની પાસે દુનિયાને આપવા માટે કંઈક હોય છે, તેઓ માત્ર જીવતા જ ફાળો આપતા નથી, મૃત્યુ પછી પણ ઘણું કરે છે. મૃત્યુ પછી વ્યક્તિ પોતાના શરીર દ્વારા શું યોગદાન આપી શકે છે અને કેવી રીતે? તો જવાબ છે તમારા મૃત શરીરનું દાન કરીને.
દાનહના સામરવરણી ગાર્ડન સિટીના રહેવાસી 84 વર્ષિય મહાનુભાવ શ્રી પબ્બા જગશીશ્વરૈયાજીએ પણ એવો જ દાખલો બેસાડ્યો છે. તેમના મૃત્યુના ઘણાસમય પહેલા, તેમણે તેમના પરિવારની સંમતિથી નક્કી કર્યું હતું કે તેઓ તેમના શરીરને તબીબી શિક્ષણ માટે દાન કરશે, આ તેમની અંતિમ ઈચ્છા પણ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ શ્રી પબ્બા જગદીશ્વરીયાજી તા.11.10.2023ના રોજ સવારે 8:55 કલાકે અવસાન પામ્યા. શ્રી પબ્બા જગદીશ્વરીયાજીના દેહનું દાન કરવાનું નક્કી થઈ ગયું હોવાથી, તેમના પુત્ર શ્રી રાજા કુમારે તુરંત જ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના આરોગ્ય વિભાગના સલાહકાર અને મેડિકલ એજ્યુકેશનના સી.ઈ.ઓ. ડૉ. વી.કે.દાસનો સંપર્ક કર્યો. આરોગ્ય વિભાગ અને નમો મેડિકલ કોલેજે તાત્કાલિક સંજ્ઞાન લઈ દાતાના મૃતદેહને લાવવાની વ્યવસ્થા કરી હતી. તેમના મૃતદેહને લાવતા પહેલાં, તેમના સંબંધીઓએ તેમના નિવાસસ્થાન ગાર્ડન સિટી, સામરવરણી ખાતે તેમના રિવાજો મુજબ શ્રી પબ્બા જગદીશ્વરનજીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના મૃતદેહને આદર સાથે મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેઓ વ્યવસાયે શિક્ષક હતા, નિવૃત્તિ પહેલાં તેઓ એક હાઈસ્કૂલના મુખ્ય શિક્ષક હતા અને નિવૃત્તિ પછી યોગ શીખવતા હતા. તેમની જીવનશૈલી પરથી જ સ્પષ્ટ થાય છે કે તેમને શિક્ષણ પ્રત્યે કેટલો પ્રેમ હતો. તેમણે તેમનું સમગ્ર જીવન શિક્ષણ માટે સમર્પિત કર્યું. મામલો માત્ર તેમના જીવિત રહેવા પૂરતોસીમિત ન હતો, પરંતુ મરણોત્તર તેમણે તેમનું આખું શરીર તબીબી શિક્ષણ માટે દાન કર્યું હતું. તેમના યોગદાનને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ આરોગ્ય વિભાગ અને નમો ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે.