સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ કરોડો રૂપિયાની સરકારી જમીન, નહેરો ઉપર કરાયેલા અતિક્રમણ અને બાંધકામને દૂર કરવા સંઘપ્રદેશ પ્રશાસનને મળેલી સફળતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : દમણ જિલ્લા પ્રશાસને આજે નાની દમણના મરવડના કેટલાક વિસ્તારોમાં સરકારી જમીન ઉપર ગેરકાયદે રીતે કરેલા બાંધકામને હટાવવાની કાર્યવાહી કરી હતી. જેમાં જિલ્લા પ્રશાસનના મહેસૂલ અને જાહેર બાંધકામ વિભાગના સંયુક્ત ડિમોલીશન અભિયાનમાં મરવડમાં લગભગ 1.5કિલોમીટર વિસ્તારમાં અલગ અલગ 7 જગ્યાએ સરકારી જમીન ઉપર ખાનગી વ્યક્તિઓ દ્વારા પોતાના પરિસરની દિવાલ, ગોદામ, દુકાન, મકાન, શૌચાલય, પાર્કિંગ શેડ અને ચાલીના ગેરકાયદે કરેલા બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા છેલ્લા કેટલાક સમયથી અતિક્રમણ અને ગેરકાયદે બાંધકામ હટાવવા શરૂ કરાયેલા અભિયાનમાં દમણ જિલ્લામાં દમણના શહેરી તથા કચીગામ, ભીમપોર, દાભેલ, ભીમપોર, કડૈયા વગેરે ગ્રામ્ય વિસ્તારમાં 23 કિલોમીટર જેટલી સરકારી જમીનો અને નહેર ઉપર કરાયેલા અતિક્રમણોને મુક્ત કરાયા છે.
દમણ જિલ્લા પ્રશાસને તમામ નાગરિકોને આ અખબારી યાદી દ્વારા સુચના આપી છે કે, જો કોઈ વ્યક્તિ કે કંપની દ્વારા સરકારી જમીન અથવા નહેર ઉપર કોઈ અતિક્રમણ કરાયું હોય તો તે સ્વયં તાત્કાલિક દૂર કરે નહીં તો પ્રશાસન દ્વારા અતિક્રમણ હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ કરોડો રૂપિયાની સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ અને બાંધકામને દૂર કરવા સંઘપ્રદેશ પ્રશાસન સફળ રહ્યું છે.