પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘સૌનું સ્વાસ્થ્ય સૌનું કલ્યાણ”ની ભાવનાને સાકાર કરી આટિયાવાડવાસીઓને નિરોગી રહેવા પ્રશાસન અને પંચાયતના પ્રયાસમાં આપી રહેલા સહયોગ બદલ પ્રગટ કરેલો આભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : દમણની આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત દાભેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રથમ આયુષ્માન આરોગ્ય મેળાનું આજે ઉદ્ઘાટન કર્યું હતું.
સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે દાભેલ પી.એચ.સી.ના ઈન્ચાર્જ ડૉ. પ્રતાપ સોનાવણે સાથે આરોગ્ય મેળાનું નિરીક્ષણ કરી ઉપચાર માટે આવેલા દર્દીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. શ્રીમતી ઉર્વશીબેન પટેલ સ્વયં બી.ફાર્મ. હોવાની સાથે ફાર્મસી અને જેનેરિક દવાઓમાં પણ પોતાનું ઊંડું જ્ઞાન ધરાવે છે. જેના કારણે તેમણે ડોક્ટરો અને દર્દીઓને જેનેરિક દવાના ફાયદાની પણ સમજ આપી હતી.
આરોગ્ય મેળામાં આવેલી બહેનોને તેમના આરોગ્ય વિશે રાખવાની પ્રાથમિક કાળજીની સમજ પણ સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે આપી હતી. તેમણે દાભેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર ચોથાશનિવારે યોજાનારા આરોગ્ય મેળામાં હાજર રહી લાભ લેવા પણ પ્રેરિત કર્યા હતા.
ડૉ. પ્રતાપ સોનાવણે અને દાભેલ પી.એચ.સી.ની હેલ્થ ટીમે સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કુપોષિત બાળકો વગેરે લાભાર્થીઓને જરૂરી તબીબી સેવાઓ સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘સૌનું સ્વાસ્થ્ય સૌનું કલ્યાણ”ની ભાવનાને સાકાર કરી આટિયાવાડવાસીઓને નિરોગી રહેવા પ્રશાસન અને પંચાયતના પ્રયાસમાં આપી રહેલા સહયોગ બદલ આભાર પણ પ્રગટ કર્યો હતો.