(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: ‘ઉત્તર ભારતીય વિકાસ સંગઠન દાદરા નગર હવેલી’ દ્વારા આજે કલેક્ટરશ્રીના હસ્તે જાહેર જનતાની સેવા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રદેશની સામાન્ય જનતાની આરોગ્યની સમસ્યાને જોતા સંગઠન દ્વારા સામરવરણી પંચાયત હોલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરની અધ્યક્ષતામાં એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરના હસ્તે લીલી ઝંડી બતાવી એમ્બ્યુલન્સને લોકોની સેવા માટે રવાના કરવામાં આવી હતી. આ મલ્ટીપલ એમ્બ્યુલન્સમાં ડેથ બોડી અને ઇમર્જન્સી આરોગ્ય સુવિધા બન્નેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. જેનો ઉપયોગ ઇમર્જન્સી દર્દીનેહોસ્પિટલમાં પહોંચાડવામાં ઉપયોગી બનશે.
આ અવસરે ઉત્તર ભારતીય વિકાસ સંગઠનના પ્રમુખ શ્રી બી.કે.ત્રિપાઠી, ઉદ્યોગપતિ શ્રી અજીત યાદવ, શ્રી નાગેન્દ્ર સિંહ, શ્રી અનિલ દીક્ષિત, શ્રી રાજેશ્વર શુક્લા, શ્રી મહેન્દ્ર યાદવ અને સંઘપ્રદેશના આરોગ્ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસ સહિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.