(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના દાદરા ગામે ત્રણ આંગણવાડીમાં ખાનવેલના આરડીસીની અધ્યક્ષતામાં અને ઔદ્યોગિક એકમોના સહયોગ દ્વારા કુપોષિત બાળકો અને સ્તનપાન કરાવતી માતાઓને પૌષ્ટિક આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાદરા પંચાયતની તીઘરા આંગણવાડી, ઝરીયામોરા સહિત અન્ય આંગણવાડીમાં એમ.આર. પેકેજીંગ, બ્લુ સ્ટાર ઇન્ડિયા લિમિટેડ, ગ્રોવર વેલ લિમિટેડ સહિત અન્ય પાંચ કંપનીઓ દ્વારા આંગણવાડીના કુપોષિત બાળકો અને ધાત્રી માતાઓને લાડુ પેકેટ સાથે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પૌષ્ટિક આહાર કીટમાં બાળકો માટે મમરા, નાગલી, રવો, ખાદ્ય તેલ અને આયર્ન તથા લોહીની કમીથી પીડિત ધાત્રી માતાઓને ઘી અને પુષ્ટિવર્ધક ખાદ્યપદાર્થથી બનેલા લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને કુપોષણ મુક્ત અને માતાઓને સ્વાસ્થ્ય રક્ષણના સરકારી કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગોના સહયોગથી પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ અવસરે ખાનવેલના આરડીસી શ્રી અમિતકુમાર, દાદરા ગામના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, ઉપ સરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ, દાદરા અનેસેલવાસની ઈન્ડસ્ટ્રીઝોના પ્રતિનિધિઓ સહિત આંગણવાડીના બાળકો અને માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.