(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયત્નોના પરિણામે દેશની અગ્રગણ્ય લૉ યુનિવર્સિટી એવી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીએ સેલવાસમાં પદાર્પણ કર્યું છે અને બીએ એલએલબી અને એલએલએમ અભ્યાસક્રમ સાથે ચાલુ વર્ષથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરી છે.
આગામી શૈક્ષણીક વર્ષમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓએ તારીખ 03 ડિસેમ્બરના રોજ યોજાનાર કોમન લૉ એડમિશન ટેસ્ટ (સીએલએટી) પરીક્ષા આપવી ફરજીયાત છે.
સીએલએટી પરીક્ષા વિશે સ્થાનિક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે સેલવાસ ખાતે રવિવારે એકદિવીય માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાનવેલ, દપાડા, રખોલી,ટોકરખાડા, માંદોની તથા દૂધની જેવા અંતરિયાળ વિસ્તારના આશરે 350 જેટલા વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને શિક્ષકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં કોમન લૉ એડમિશન ટેસ્ટ માટે નોંધણી કઈ રીતે કરાવવી અને પરીક્ષા માટે તૈયારી કઈ રીતે કરવી તેની સમજ આપવામાં આવી હતી. તે ઉપરાંત, સંઘપ્રદેશના જે વિદ્યાર્થીઓ સીએલએટી માટે નોંધણી કરાવે તે વિદ્યાર્થીઓને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા નિઃશુલ્ક કોચીંગ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત લૉ યુનિવર્સિટીમાં અભ્યાસની તક મળે તે આશયથી આ બન્ને અભ્યાસક્રમમાં 25 ટકા બેઠકો તેમના માટે અનામત રાખવામાં આવી છે. ચાલુ વર્ષે સંઘપ્રદેશના 18 વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી જીએનએલયુ સેલવાસ કેમ્પસમાં અભ્યાસ કરી રહ્યા છે.
Previous post