નવરાત્રી આદ્યશક્તિ ઉપાસનાનું પર્વ હોવાથી માતાજીના દર્શન
કરવાની પરંપરા ઉજાગર થઈ રહી છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: ગત રવિવારથી આદ્યશક્તિ જગદંબાની નવલી નવરાત્રીનો વલસાડ જિલ્લામાં આનંદ ઉત્સાહ સાથે પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રી એ શક્તિ ઉપાસનાનું પર્વ હોવાથી માતાજીની ભક્તિ કરવાનો આ નવ દિનમાં અમુલો અવસર હોવાથી ભાવિકો નજીકમાં આવેલ તમામ માતાજીના મંદિરમાં દર્શન કરવા ઉમટી પડતા હોય છે. પારનેરા ડુંગર ઉપર બિરાજમાન આશાપુરા-ચામુંડાના દર્શન કરવા માટે પ્રથમ નોરતાથી જ ભાવિકો હજારોની સંખ્યામાં ઉમટી રહ્યા છે.
પારનેરા ડુંગર સ્થિત માતાજીના મંદિરનો ખાસ મહિમા એ છે કે અહીં સમગ્ર ગુજરાતમાં માતાજીનું એકમાત્ર સ્થાનક છે કે જ્યાં ત્રિમૂર્તિ સ્વરૂપચામુંડા માતાજી બીરાજમાન હોવાથી વલસાડ જિલ્લાભરના યાત્રાળુઓ બારેમાસ દર્શન કરવા ઉમટી પડે છે. તેમાં પણ નવરાત્રી એટલે શક્તિ ઉપાસનાનું પર્વ હોવાથી અધિકથી અધિક ભાવિકો નવરાત્રીમાં પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે.