વહીવટમાં અનિયમિતતાને કારણે સર્જાયેલી કાયદાકીય ગુંચનો ઉકેલ લાવવામાં સફળ ભૂમિકા ભજવનાર સોળસુંબાના રાજકીય અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મણીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ પંચાયતના સભાખંડમાં રાજકીય આગેવાનો તેમજ સ્થાનિક અગ્રણીઓની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે મળેલી બેઠકમાં ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે સરપંચ બલદેવભાઈ અને સભ્ય અમિતભાઈ પટેલને ઉપસરપંચ કરસનભાઈ ભરવાડે આનંદની લાગણી સાથે પુષ્પગુચ્છ આપી અને હાર પહેરાવી આવકાર્યા હતા
(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: આજરોજ ઉમરગામ તાલુકાની સોળસુંબા પંચાયતના ગ્રામજનો અને આગેવાન શ્રી મણીભાઈ પટેલના સમર્થકો માટે ઉત્સાહ ભર્યો અને મહત્વનો દિવસ બની રહ્યો હતો. પંચાયતના વહીવટમાં અનિયમિતતાના કારણે સરપંચ અને પંચાયતના સભ્યના હોદ્દા માટે સર્જાયેલી કાયદાકીય લડતમાં અધિક વિકાસ કમિશનરે ક્લીન ચીટ આપી બંનેના પક્ષમાં ન્યાય આપતો હુકમ કર્યો હતો. જેના સંદર્ભમાં આજરોજ પંચાયતના સભાખંડમાં રાજકીય તેમજ સ્થાનિક અગ્રણીઓ અને પંચાયતના તમામ સભ્યો, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્યો તેમજ શ્રી મણીભાઈ પટેલ અને અમિતભાઈ પટેલના મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકોની હાજરી વચ્ચે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પંચાયતના ઈન્ચાર્જ સરપંચ કમ ઉપસરપંચશ્રી કરસનભાઈ ભરવાડે સરપંચ શ્રી બલદેવભાઈ સુરતી અને સભ્યશ્રી અમિતભાઈ પટેલને સન્માનિત કરી ચાર્જ સુપરત કરી હોદ્દો ગ્રહણ કરવા જણાવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને રાજકીય અગ્રણી તેમજ પંચાયતના માર્ગદર્શક શ્રી મણીભાઈ પટેલે સ્થાનિક આગેવાનો અને સમર્થકો તેમજ સહયોગ આપનારાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અને પંચાયત સામે આવી પડેલી કાયદાકીય આફતની રૂપરેખા રજૂ કરીહતી. તેમજ ન્યાયિક લડતમાં મળેલી જીતને સત્યની જીત ગણાવી હતી.
આ પ્રસંગે પંચાયતના પૂર્વ સરપંચ અને હાલના સભ્ય શ્રી અમિતભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે પંચાયતનો વહીવટ ગ્રામજનોના લાભ અને સુખાકારી માટે કરવામાં આવે છે. આજ સુધી પંચાયતમાં કોઈપણ વહીવટ નિયત ખોટી રાખીને કરવામાં આવ્યો નથી અને ભવિષ્યમાં કરવામાં આવશે પણ નહીં એવું જણાવ્યું હતું. આ ઘટનામાં પણ નિયતમાં ખોટ ન હતી માત્ર અનિયમિતતા હોવાની વહીવટ તંત્રને શંકા ગઈ હતી. જે પ્રક્રિયામાંથી અમારે પસાર થવું પડ્યું હતું. પરંતુ આખરે સત્યનો વિજય થવા પામ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે પંચાયતના વિકાસના કાર્યમાં જે પણ છેલ્લા દોઢ વર્ષમાં ક્ષતિઓ રહી હોય એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે અને ભેદભાવ વગર તમામ પંચાયતના સભ્યોને સાથે રાખી તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોનું માર્ગદર્શન મેળવી સોળસુંબા પંચાયત વિસ્તારમાં ફરી સર્વાંગી અને સમતલ વિકાસ સ્થાપિત કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી ભરતભાઈ જાદવ, ઉમરગામ પાલિકાના પૂર્વ પ્રમુખ અને રાજકીય આગેવાન શ્રી સચિનભાઈ માછી, ભાજપા તાલુકા સંગઠનના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ, માંડા પંચાયતના સરપંચશ્રી પ્રભુભાઈઠાકરીયા, ભાજપા અગ્રણી શ્રી અવિનાશભાઈ રાણા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓની હાજરી જોવા મળી હતી.