(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ, તા.31: દાદરા નગર હવેલીના મસાટ ગામે અજાણ્યા વ્યક્તિઓએ એક સોના-ચાંદીની દુકાનનું તાળુ તોડી અંદાજીત 70 હજારની કિંમતના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના બની છે.
પ્રાપ્ત વિગત અનુસાર મસાટ ગામે આવેલ કૃષ્ણ હાઇટ્સની સામે બેલસામાં ખિમજ માતા જ્વેલર્સમાં મોડી રાત્રે અજાણ્યા ચોરોએ ગેસ કટરથી શટરનું તાળુ તોડી જ્વેલર્સની દુકાનમાં ઘુસી અંદાજીત 70 હજારના સોના-ચાંદીના દાગીનાઓ ચોરી રહ્યા હતા તે સમયે પીસીઆર વાનની સાયરનનો અવાજ સાંભળી ગેસ કટર અને અન્ય સામાન ત્યાં જ છોડી ફરાર થઈ ગયા હોવાી ઘટના સામે બની છે. સવારે જ્યારે દુકાનના માલિક વિક્રમસિંહ દુકાને પહોંચ્યા તે સમયે જોયું કે એમની જ્વેલર્સની દુકાનના શટરનું તાળુ તુટેલું હતું અને દુકાનની અંદર જઈ જોતા દુકાનમાંથી સોના-ચાંદીના દાગીનાઓ ચોરાઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું. આ ઘટના અંગે મસાટ આઉટ પોસ્ટમાં જાણ કરતા એ.એસ.આઈ. આર.ડી.રોહિત અને એમની ટીમ ડોગ સ્ક્વોડ સાથે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ મસાટ પોલીસ કરી રહી છે.