(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.31: વાપી ખાતે આવેલ સીબીએસસી શાળા સમર્પણ જ્ઞાન સ્કૂલમાં તારીખ 31મી ઓક્ટોબરને મંગળવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરી સરદાર વલ્લભભાઈ પટેલની ભારત સ્વતંત્રતા ચળવળના કાર્યો અને દેશના રજવાડાઓ સાથે ભારતના એકીકરણ માટે આપેલી મહત્ત્વની ભૂમિકા વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી તેમજ દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવા સ્વયંને સમર્પિત કરી દેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી. સરદાર પટેલના માનમાં બનાવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સ્કૂલ ફાઉન્ડર ટ્રસ્ટી લાયન મૂકેશ પટેલે રાષ્ટ્રીય એકતા દિવસની શુભકામના પાઠવતા કહ્યુ કે ભારત ધર્મ, સંસ્કૃતિ, પરંપરાઓ અને ભાષાઓની વિવિધતાનો દેશ છે તેથી રાષ્ટ્રની એકતા જાળવવી જરૂરી છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ એ છે કે ભારતીય ઈતિહાસમાં સરદારપટેલના મહાન યોગદાન વિશે જાગૃતિ ફેલાવવુ તેમજ બાળકોના તન-મનમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવુ. આ સાથે હાથમાં નારાના બેનરો લઈ જોર જોરથી નારાનું ગુંજન કરતા વિદ્યાર્થીઓની શાળાની આસપાસના વિસ્તારમાં રાષ્ટ્રીય એકતા રેલી કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન બાળકો પ્રફુલ્લિત અને જોશીલા લાગી રહ્યા હતા અને તેમના ચહેરા પર અનોખી ખુશી જણાઈ રહી હતી. સ્કૂલ ચેઅર પર્સન લાયન હિના પટેલે બાળકોને રોજબરોજના કાર્યો કરતા કેવી રીતે દેશ હિતના કાર્યો કરી શકાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું.