અગ્રણી સચિનભાઈ માછી અને એમના મિત્રોએ પ્રશાંતભાઈ કારૂલકર અને એમના પરિવારની કરેલી યજમાનગીરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: હાલમાં મુંબઈ ખાતે સ્થાયી થયેલા અને સફળતાનું શિખર સર કરનાર તેમજ રાજકીય વગ ધરાવનાર શ્રી પ્રશાંતભાઈ કારૂલકર અને એમનો પરિવાર આજરોજ એમની જન્મભૂમિ ઉમરગામની મુલાકાતે આવ્યા હતા. શ્રી પ્રશાંતભાઈ કારૂલકરના આગમનની જાણકારી ઉમરગામના અગ્રણી તેમજ મિત્ર વર્તુળોમાં પ્રાપ્ત થતા ઉમરગામ પથકમાં ઉત્સાહ ભર્યું વાતાવરણ સર્જાવા પામ્યું હતું. શ્રી પ્રશાંતભાઈ કારૂલકર અને એમના પરિવારનું અગ્રણીઓ, સામાજિક સંગઠનો તેમજ ઉદ્યોગપતિઓ અને ડેવલપ ક્ષેત્રે જોડાયેલા રોકાણકારોએ ઉમેળકાભેર સ્વાગત કરી મુલાકાતનો આનંદ મેળવ્યો હતો.
શ્રી પ્રશાંતભાઈ કારૂલકર અને એમના પરિવારની ઉમરગામના અગ્રણી અને માછી સમાજના આગેવાન શ્રી સચિનભાઈ માછીએ મહેમાનગતિ કરવાની તક ઝડપી હતી. બપોરના સમયે શ્રી પ્રશાંતભાઈ કારૂલકર એમના વિશાળ કાફલા સાથે શ્રી સચિનભાઈ માછીના નિવાસ્થાને આવી પહોંચ્યા હતા જ્યાં ઉમરગામના સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ ઉદ્યોગપતિઓએ મુલાકાત કરી હતી. આ પ્રસંગેશ્રી પ્રશાંતભાઈ કારૂલકરે આવનારા દિવસમાં ઉમરગામ તાલુકામાં અનેક મોટા વિકાસના પ્રોજેક્ટ આવી રહ્યા હોવાના સંકેત આપ્યા હતા. એમણે શ્રી સચિનભાઈ માછીની વિકાસશીલ વિચારધારાની પ્રશંસા કરી હતી.
અત્રે નોંધનીય છે કે શ્રી પ્રશાંતભાઈ કારૂલકરને ભારતીય નૌકાદળના વાઈસ એડમીરલ દ્વારા સર્વોચ્ચ નાગરિક પ્રશસ્તિ પત્રથી પણ સન્માનિત કરવામાં આવેલા છે. આ ઉપરાંત બિઝનેસ ટાઈકુન રતન ટાટા દ્વારા એબીસીઆઈ એવોર્ડ પ્રસ્તુત કરવા માટે મુખ્ય અતિથિ તરીકેનું સ્થાન આપવામાં આવ્યું હતું. સરકારમાં કેન્દ્રીય પ્રધાનો જોડે પણ નજીકથી સંકળાયેલા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.