સંઘપ્રદેશ પ્રશાસને દાનહ માટે ખાનવેલ રેસ્ટ હાઉસમાં દિવાળી સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવાની શરૂ કરેલી નવતર પહેલથી ઊંડાણના આદિવાસી જન પ્રતિનિધિઓને મળેલી રાહત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દિવાળી સ્નેહ મિલન સમારંભનું આયોજન ખાનવેલ રેસ્ટ હાઉસ ખાતે યોજી દાદરા નગર હવેલી માટે એક નવતર પહેલ કરી છે. કારણ કે, ઊંડાણના વિસ્તારમાંથી આવતા સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો તથા આગેવાનોને રાત્રિના સમયે દમણથી પોતાના વિસ્તારમાં પહોંચતા અનેક અગવડોનો સામનો કરવા પડતો હતો. તેમાં હવે ઉદાર અને સંવેદનશીલ અભિગમ અપનાવી દાનહના ખાનવેલ રેસ્ટ હાઉસ ખાતે આજે દિવાળી સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલીના થયેલા ઉત્તરોત્તર વિકાસની ઝાંખી કરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટૂંકી દૃષ્ટિ કે નાનો સ્વાર્થ રાખ્યા વગર પોતાની આવનારપેઢીનું ભવિષ્ય સલામત કેવી રીતે બને તેના ઉપર ફોકસ કરવા માર્મિક ટકોર પણ કરી હતી.
આ પ્રસંગે દાનહ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી રજની શેટ્ટી, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, શ્રી સીતારામ ગવળી, ભાજપના વરિષ્ઠ નેતા શ્રી ફત્તેહસિંહ ચૌહાણ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિ.પં. ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ વગેરે સહિત ઉદ્યોગપતિઓ અને જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.