(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.31: મુખ્યમંત્રી તથા મહેસૂલી તપાસણી કમિશનર મહેસૂલ વિભાગ ગાંધીનગર દ્વારા ગામે ગામ રાત્રી સભા યોજી તેમાં ઉપસ્થિત થતા પ્રશ્નોનો નિકાલ થાય તે બાબતે તકેદારી રાખવા જણાવ્યું છે. જે અનુસંધાને નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ગણદેવી તાલુકાના એંધલ ગામખાતે રાત્રિ સભા યોજાઈ જેમાં મોટાભાગના પ્રશ્નો સ્થળ ઉપર ઉકેલાયા. શિક્ષણ, આરોગ્ય પશુ પાલન, વીજપુરવઠો, વગેરે જેવા ગ્રામજનોના ઉપસ્થિત થતા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી અને તમામ ખાતાના હાજર રહેલા અધિકારીઓ દ્વારા આ સભામાં જ પ્રશ્નોના નિકાલ અંગે પણ ચર્ચા કરાઈ હતી.
આ રાત્રી સભામાં નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે પોતાના ઉદબોધનમાં ગ્રામજનની સુખાકરી માટે દરેક યોજનાએ સંકલનમાં રહી કામગીરી કરવા દરેક વિભાગના અધિકારીશ્રીઓને અપીલ કરી હતી. આ સાથે શિક્ષણના કે કોઈ પણ અન્ય પ્રશ્નોનો ગ્રામજનોની સુખાકારી માટે પગલાં લેવા સૂચના અપાઈ હતી. આ સાથે પશુ દવાખાના કે પશુ ડોક્ટરોને લઈને પણ યોગ્ય વ્યવસ્થા કરવા માટે તાકીદ કરાઈ હતી.
આ રાત્રી સભા પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, પ્રાંત અધિકારી ચીખલી શ્રી અમિત ચૌધરી, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી શ્રી એમ.એસ.ગઢવી, સરપંચશ્રી કલાબેન મયંકભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.