(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : આજે ઉદયમાન સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે દમણમાં ચાર દિવસીય લોક આસ્થાના પર્વ છઠ્ઠની પૂજન વિધિનું સમાપન થયું હતું. આજે સવારે 4:00 વાગ્યાથી જ માથા ઉપર ફળ, પૂજા સામગ્રી અને દેશી વ્યંજનથી ભરેલ ટોપલી લઈ છઠ્ઠવ્રતધારી પોતાના પરિવારો સાથે નાની દમણ સમુદ્ર કિનારે ઉમટી પડયા હતા.
દમણના વિશાળ દરિયા કિનારે બાળકોએ ફટાકડા અને આતશબાજીનો જોરદાર આનંદ ઉઠાવ્યો હતો. નમો પથ આજે છઠ્ઠવ્રતીઓના રંગથી રંગાઈ ગયો હતો. ઉદયમાન સૂર્યને અર્ઘ્ય આપવા માટે છઠ્ઠવ્રતીઓ કલાક પહેલાંથી જ પાણીમાં ઉતરી ગયા હતા અને ભગવાન સૂર્ય નારાયણના ઉદય થવાનો ઈંતેજાર કર્યો હતો. ભગવાન સૂર્યની લાલીમા જોતાં જ વ્રતધારીઓએ દૂધનો અર્ઘ્ય આપી હવન કર્યો હતો અને ઉપસ્થિતલોકોમાં પ્રસાદનું વિતરણ પણ કર્યું હતું.
દમણ પ્રશાસને કોઈ અનિચ્છનીય ઘટના નહીં ઘટે એ માટે પાણીની અંદર પણ પ્રશિક્ષિત જવાનો અને ડૂબકીબાજોને અદ્યતન બોટ તથા ઉપકરણો સાથે તૈયાર રખાયા હતા.
છઠ્ઠવ્રતધારીઓની વ્યવસ્થા માટે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સેવા સમિતિ દમણ, ઉત્તર ભારતીય સેવા સંગઠન દમણ, ભારતીય તૈલિક શાહૂ-રાઠોડ મહાસભા, બિહાર મિત્રમંડળ, ઉત્તર ભારતીય સર્વ સમાજ વગેરેનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સેવા સમિતિના અધ્યક્ષ શ્રી બલવંત યાદવ, શ્રી શાંતિભૂષણ મિશ્રા, શ્રી દિનેશ યાદવ, શ્રી પી.કે.પાંડે, શ્રી રાજન યાદવ, શ્રી રાજીવ ચૌબે, શ્રી અશોક સિંહ, શ્રી સુરેશ યાદવ, શ્રી એસ.કે. શુક્લા, શ્રી હરિઓમ મહારાજ, શ્રી ધર્મેન્દ્ર તિવારી, શ્રી કૃપાશંકર રાય, શ્રી શિવાજી તિવારી, શ્રી મહેન્દ્ર દુબે, શ્રી અખિલેશ મિશ્રા, શ્રી સંજય સાહ, શ્રી ઈન્દ્રભાનુ ગુપ્તા, શ્રી વિષ્ણુ ગુપ્તા, શ્રી શાંતિલાલ ગુપ્તા, શ્રી પારસ યાદવ વગેરેનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું.