(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.15 : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું આજે મોટી દમણ માર્કેટમાં આગમન થયું હતું. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રથને તિલકᅠઅને આરતી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, ચીફ ઓફિસર શ્રી સંજામ સિંહ, ઉપ પ્રમુખ શ્રીમતી રશ્મિબેન હળપતિ સહિત કાઉન્સિલરોએ નારિયેળ વધેરીને રથને ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, પૂર્વ પ્રમુખ શ્રી બી.એમ. માછી, શ્રી કિરીટભાઈ, શ્રી મહેશ ટંડેલ, ફાલ્ગુન, મિતા સહિત અન્ય હોદ્દેદારો પણ હાજર હતા. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો.
નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણિયા સરકારની વિવિધ કલ્યાણકારી અનેક યોજનાઓની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દમણમાં જાગરૂકતાના અભાવે અનેક યોજનાઓ વધારે લોકો સુધીપહોંચતી નથી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. શ્રી અસ્પી દમણિયાએ ભારત સરકારની અનેક યોજનાઓના નામો પણ વર્ણવ્યા હતા.
મોટી દમણના મચ્છી અને શાકભાજી માર્કેટ પાસેના પાર્કિંગ પ્લેસમાં યોજાયેલા કાર્યક્રમમાં બાલ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ‘ધરતી કહે પુકાર કે, નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ‘વિકસિત ભારત’ બનાવવા માટે શપથ લેવામાં આવ્યા હતા. હર ઘર નલ યોજના અને ઓડીએફ પ્લસમાં વોર્ડ નંબર 1, 2, 3, 4ના કાઉન્સિલરો શ્રીમતી સોનલબેન પટેલ, શ્રી ચંડોક જસવિંદર, શ્રી પ્રમોદ રાણા, શ્રીમતી ફિરદૌસ બાનુ, શ્રી અસરાર હુસેનને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચિત્રકળાᅠઅને ક્વીઝ હરીફાઈના વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓએ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. જેમાં પી.એમ. સ્વનિધિ યોજના, પી.એમ. મુદ્રા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પી.એમ. ગરીબ કલ્યાણ અન્ન યોજના તથા આયુષ્માન ભારત હતી. કાર્યક્રમમાં વોર્ડ કાઉન્સિલર શ્રીમતી સોનલબેન પટેલ, શ્રી પ્રમોદ રાણા, શ્રી ચંદ્રગીરી ટંડેલ, શ્રીમતી સોહીના પટેલ, શ્રીમતી ફિરદૌસᅠબાનુ, શ્રીમતી નયનાબેન ટંડેલ, શ્રી અસરારભાઈ પણ હાજર હતા.કાર્યક્રમમાં અનેક સ્ટોલ લગાવવામાં આવ્યા હતા જેમાં લોકોને સરકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સાથે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયાબિટીસ, બીપી સહિત અન્ય રોગોની તપાસ કરવામાં આવી હતી. વૈદિક ડેન્ટલ કોલેજ દ્વારા ડેન્ટલ ચેક કેમ્પમાં લોકોના દાંતોની તપાસ કરવામાં આવી હતી. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ મચ્છી-શાકભાજી માર્કેટ, ડી.એમ.સી. ઓફીસ, કોર્ટની અંદર અને બહારના વિસ્તારમાં, માંગેલવોર્ડ, વિઠ્ઠલ મંદિર સહિત અન્ય વિસ્તારોમાં ફરી લોકોને નુક્કડ નાટકના માધ્યમથી યોજનાઓની માહિતી આપી હતી. આવતી કાલે શનિવારે સાંજે 4 વાગ્યે નાની દમણ યસ બેંક ખારીવાડ પાસે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો કાર્યક્રમ અને કેમ્પ યોજવામાં આવશે.