પ્રભારી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી દુષ્યંત પટેલે ભાજપ સંગઠનને લોકાભિમુખ અને અસરકારક બનાવવા શરૂ કરેલું ઓપરેશન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠનને ગતિશીલ અને ‘મિશન-2024’ની સફળતા માટે રાષ્ટ્રીય હાઈકમાન્ડ દ્વારા નવનિયુક્ત પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી શ્રી દુષ્યંત પટેલે આજે દાદરા નગર હવેલીની મુલાકાત લઈ કોર કમિટી અને પ્રદેશ પદાધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે ભાજપ સંગઠનમાં ચાલી રહેલ જૂથવાદને ખતમ કરવા પણ પહેલ શરૂ કરી હતી. જેના અનુસંધાનમાં કેટલાક જૂના નેતાઓ સાથે તાલમેલ સાધવા પણ કોશિષ કરાઈ હોવાનું જાણવા મળે છે.
સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી ભાજપ સંગઠનનીહાલત જોઈ પ્રભારી અને સહ પ્રભારી બંને દિગ્મૂઢ થઈ ગયા હતા. કારણ કે, હજુ સુધી સઘન અને વ્યવસ્થિત રીતે પેજ કમિટી પણ બનાવવામાં નહીં આવી હતી. તેથી તાત્કાલિક રીતે પેજ કમિટી બનાવવા જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હોવાનું જાણવા મળે છે.
બહુમતિ આદિવાસી વસતી ધરાવતા દાદરા નગર હવેલીમાં દમણથી જતા ભાજપના નેતાઓ ઉપર રોક લગાવવાનો આડકતરો નિર્દેશ પણ પ્રભારી દ્વારા આપવામાં આવ્યો હોવાનું સુમાહિતગાર સાધનોએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે હવે સેલવાસના નેતા સેલવાસને સંભાળશે જ્યારે ખાનવેલ, દૂધની, રાંધા, માંદોની-સિંદોની વગેરેના લોકોને ત્યાંનુ નેતૃત્વ જરૂરી દિશા-નિર્દેશો આપશે. જેના કારણે જે તે વિસ્તારના લોકો અને ત્યાંના નેતૃત્વને પણ પાંખ પ્રસરાવવાની તક મળશે. તે જ રીતે દીવના નેતાઓ દીવને રાહ ચિંધશે એ પ્રકારની વ્યવસ્થાને ઓપ આપવા નિર્દેશ અપાયો હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે, ભાજપ સંગઠનમાં પ્રભાવશાળી નેતૃત્વને સાઈડલાઈન કરવાની શરૂ થયેલી નીતિ-રીતિના કારણે પણ વગદાર લોકો ભાજપથી વિમૂખ થઈ રહ્યા છે. દાદરા નગર હવેલીની વાત કરવામાં આવે તો ભાજપના કેટલાક પદાધિકારીઓની વફાદારી ડેલકર પરિવાર સાથે હોવાની વાત પણ હવે છાની રહી નથી. તેથી દાદરા નગર હવેલીમાંભાજપ સંગઠનના ફાટેલા આભને પ્રદેશ પ્રભારીઓ કેટલા અંશે થિંગડા મારવા સફળ રહે તેના ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત છે.