(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સંચાલિત સેલવાસના ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના તરણકુંડમાં એમના મિત્રો સાથે તરવાનું શીખવા આવેલ વાપીના ડુંગરાનો કિશોરનું તરણકુંડના પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાથી તરણકુંડના સંચાલકો સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર સંદીપ અશોકભાઈ ગોર (ઉ.વ.17), રહેવાસી ડુંગરી ફળિયા, જીઆઈડીસી-વાપી. જે સોમવારના રોજ બપોરે એના મિત્રો સાથે સેલવાસ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તરણકુંડમાં તરવાનું શીખવા માટે આવ્યો હતો. સંદીપ તરણકુંડમાં મિત્રો સાથે તરણનો અભ્યાસ કરી રહ્યો હતો તે સમયે કુંડના વચ્ચેનાભાગે પહોંચ્યા બાદ અચાનક જ બેભાન અવસ્થામાં આવી જતાં પાણીમાં નીચે ડુબી ગયો હતો. તેની સાથે આવેલ મિત્રોએ આજુબાજુ નજર નાંખીને જોયું તો સંદીપ દેખાતો ન હતો, જેથી તેઓએ તરણ કોચને જાણ કરી હતી. ત્યારબાદ તરણકુંડમાં શોધખોળ કરતા પાણીમાં ડુબી ગયેલો જોવા મળ્યો હતો. એના મિત્રોએ પાણીમાં ડુબેલા સંદીપને તાત્કાલિક બહાર કાઢયો હતો અને સારવાર માટે સેલવાસ ખાતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ સંદીપની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે સંદીપના ઘરની બાજુમાં રહેતા અન્ય મિત્રને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ફરજ બજાવતા કર્મચારીએ ફોન કરી જણાવેલ કે સંદીપની તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જે અંગેની એના પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. અહીં સંદીપને મૃત હાલતમાં જોતા તબીબોને મળી પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે આપના પુત્રને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ તેને સારવાર મળે તે પહેલાં જ એનું મોત થયું હતું. આ ઘટનાની જાણ સેલવાસ પોલીસને થતાં તેમની ટીમ પણ પહોંચી હતી અને ઘટના અંગેની જાણકારી મેળવી હતી. મૃતક સંદીપ ગોરનું પોસ્ટમોર્ટમ(પી.એમ.) કરાવતાપ્રાથમિક રિપોર્ટમાં સંદીપનું પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. કિશોર વયના સંદીપના મોતથી તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
Previous post