(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વાપી જીઆઈડીસીના પોલીસ મથકે સુરત રેન્જ આઈજી વાર્ષિક ઈન્સ્પેકશન કરવા વલસાડ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. વાપી જીઆઈડીસી પોલીસ મથકનું ઈન્સ્પેકશન કર્યા બાદ રેન્જ આઈજી વી. ચંદ્રશેખરના અધ્યક્ષ સ્થાને વાપી વીઆઈએ ઓડિટોરીયમ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાપી જીઆઈડીસી પોલીસ મથકનું રેન્જ આઈજીએ ઈન્સ્પેકશન કર્યા બાદ વાપી વીઆઈએ હોલ ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપીના ઉદ્યોગપતિઓ, વીઆઈએના અગ્રણીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાપીમાં ફલાઈ ઓવરબ્રિજની ચાલી રહેલી કામગીરીને લઈને થતી ટ્રાફિક સમસ્યા સહિત વિવિધ અમુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. વાપી વિસ્તારમાં આરઓબીની ચાલી રહેલી કામગીરીને લઈને થતી ટ્રાફિક સમસ્યા અંગેપાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહે જરૂરી વિકલ્પો અંગે ચર્ચા કરી હતી.
વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને વલસાડ જિલ્લાના અગ્રણીઓએ બિરદાવી હતી. વલસાડ જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલા અને તેમની ટીમ દ્વારા ડુંગરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી ઉપર થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવા બદલ જિલ્લા પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. પોલીસ મથકમાં લેન્ડલાઈની જગ્યાએ મોબાઈલ નંબર ફાળવવા અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સુરત રેન્જ આઈ વી. ચંદ્રશેખરે અગ્રણીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા.
લોકદબારમાં વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહ સહિત વાપીના ઉદ્યોગપતિઓ, વીઆઈએના અગ્રણીઓ તથા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર લોક દરબારનું સંચાલન વાપી વિભાગના ડીવાયએસપી બી.એન. દવેએ કર્યું હતું.