(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી શ્રી દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં આજે સેલવાસના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સેલવાસ તથા દમણ અને દીવ નગરપાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખ અને કાઉન્સિલરો માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે પ્રદેશ ભાજપ શ્રી પ્રમુખ દીપેશ ટંડેલ, પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલ પાટીલ, પ્રશિક્ષક સંયોજક ડૉ. નરેન્દ્ર દેવરે સહિત સંઘપ્રદેશની સેલવાસ, દમણ અને દીવ એમ ત્રણેય નગરપાલિકાના પ્રમુખો, ઉપ પ્રમુખો તથા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રિય ભાજપ પ્રશિક્ષક શ્રી રવિન્દ્ર સાઠેએ સેલવાલ, દમણ અને દીવ નગરપાલિકાના પ્રમુખો, ઉપ પ્રમુખો તથા કાઉન્સિલરોને તાલીમઆપી હતી. જેમા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના મુળ સિદ્ધાંતો, નીતિ તથા ઉદ્દેશ્યની સાથે જનહિતમાં સંચાલિત વિવિધ યોજનાઓની જાણકારી જનજન સુધી કેવી રીતે પહોંચાડવી તે બાબતે સઘન તાલીમ આપવામાં આવી હતી.
પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદીએ પણ સંઘપ્રદેશની ત્રણેય નગરપાલિકાના પ્રમુખો, ઉપ્રમુખો અને કાઉન્સિલરો સાથે ચર્ચા કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના દરેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દેશભક્તિ અને સમર્પિત ભાવથી દેશ માટે ખંતથી કામ કરે અને કેન્દ્ર અને રાજ્ય વિકાસ યોજનાઓને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવામાં પોતાનું વધુમાં વધુ યોગદાન આપે. તેથી દરેક હોદ્દેદારો, પદાધિકારીઓ આગળ આવે અને પાર્ટી તથા દેશહિતના કામમાં સહભાગિતા નિભાવે.