પ્રશાસક પ્રફુલભાઈ પટેલ હંમેશા વહીવટમાં પારદર્શકતાના હિમાયતી હોવાથી પંચાયત વિસ્તારમાં બનતા વિવિધ રોડ અને વિકાસના કામોનું વિવરણ દર્શાવતાં બોર્ડ જનતાના સોશિયલ ઓડિટ માટે લગાવવા રજૂ કરાયેલો મત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : આજે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના અધ્યક્ષ સ્થાને ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ 2024-‘25ના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂર કરવા પંચાયતના પ્રાંગણમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરા, જિલ્લા પંચાયતના એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી સંદિપ તંબોલી, સમાજ કલ્યાણ અને કૃષિ વિભાગના પ્રતિનિધિઓ, મેડિકલ ઓફિસર ડૉ. નેતાજી ગોલી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સ્વાગત વક્તવ્ય આપતાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારથી કેન્દ્રમાં મોદી સરકારનું આગમન થયું છે ત્યારથી સંઘપ્રદેશ દાદરા નગરહવેલી અને દમણ-દીવમાં છેવાડેના વ્યક્તિનો પણ સર્વાંગી વિકાસ થઈ શકે તે પ્રકારના આયોજનો થયા છે. તેમાં દમણવાડા ગ્રામ પંચાયતને પણ ભરપુર લાભ મળ્યો છે. તેમણે પોતાના સરપંચ તરીકેના કાર્યકાળના ત્રણ વર્ષ દરમિયાન થયેલા કામોનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, પંચાયત વિસ્તારના લગભગ તમામ વિલેજ રોડ બની ગયા છે અને કેટલાક બનવાના આયોજન ઉપર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સ્ટ્રીટ રોડના નિર્માણ માટે પણ પ્રશાસન હકારાત્મક અભિગમ અપનાવશે. તેમણે ડિજિટલ લાઈબ્રેરી અંગે પણ જાણકારી આપી હતી અને દમણવાડા પંચાયત દિવસની કરેલી ઉજવણીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, પોતાના વ્યસ્ત સમયમાંથી જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન તથા ડેપ્યુટી કલેક્ટર શ્રી મોહિત મિશ્રાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપેલા માર્ગદર્શન બદલ તેમનો આભાર પ્રગટ કર્યો હતો અને પંચાયત તરફથી તેમનું ઋણ સ્વીકાર પણ કરવામાં આવ્યું હતું.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ખાસ કરીને ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતને જણાવ્યું હતું કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ હંમેશા વહીવટમાં પારદર્શકતાના હિમાયતી છે. તેથી પંચાયત વિસ્તારમાં બનતા વિવિધ રોડ અને વિકાસના કામોનું વિવરણ દર્શાવતાં બોર્ડ લગાવવા જોઈએ જેથી જનતા સ્વયંકામનું સોશિયલ ઓડિટ પણ કરી શકે.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહયોગથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે અનેક વિકાસના કામો કર્યા છે. જેનો ફાયદો દરેક પંચાયતને મળી રહ્યો છે. તેમણે રામમંદિરના થનારા ભવ્ય ઉદ્ઘાટન સમારંભની પણ જાણકારી આપી હતી.
દમણવાડા પંચાયતના સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલે ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ 2024-‘25ના ડેવલપમેન્ટ પ્લાનની માહિતી આપી હતી અને 2023-‘24ના આવક અને ખર્ચનો હિસાબ રજૂ કર્યો હતો.
આ કાર્યક્રમમાં બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરાએ નાગરિકોના વિવિધ પ્રશ્નોનું સ્થળ ઉપર જ સફળ સમાધાન કર્યું હતું. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી મિલન પટેલ, પંચાયત સભ્ય શ્રી વિષ્ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, દમણવાડા ગ્રામ પંચાયતની સલાહકાર સમિતિના શ્રી અરૂણભાઈ પટેલ, શ્રીમતી દીપા પટેલ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સમાપન વિધિ પંચાયતના એકાઉન્ટન્ટ શ્રી રોહિત ગોહિલે આટોપી હતી.