દમણવાડા ગ્રામ પંચાયતને એક વર્ષની અંદર કુપોષણની સમસ્યાથી મુક્ત કરી બીજી પંચાયતો માટે પ્રેરણાસ્વરૂપ બનવા ગ્રામજનોને સરપંચશ્રીએ કરેલું આહ્વાન
‘‘પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને આશીર્વાદથી ઉચ્ચ અધિકારીઓ આપણાં ઘરના આંગણે આવી આપણી અને આપણાં બાળકોની કાળજી લઈ રહ્યા છે એ નાની સુની ઘટના નથી”
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણવાડા ગ્રામ પંચાયત ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે કુપોષણ અને ટી.બી. નાબૂદીના સંદર્ભમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આગામી એક વર્ષની અંદર દમણવાડા ગ્રામ પંચાયતને કુપોષણનીસમસ્યા અને ટી.બી.થી મુક્ત પંચાયત બનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, શનિવારે નવી દિલ્હી ખાતે આપણાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓક્ટોબર-નવેમ્બર-2024માં ‘સંકલ્પ સપ્તાહ’ કાર્યક્રમમાં આકાંક્ષી બ્લોકમાંથી પ્રેરણાસ્વરૂપ બનેલા બ્લોક્સ-પંચાયતોમાંથી 10 લોકોની સફળતાની વાતો સાંભળવા બતાવેલી ઈચ્છામાં દમણવાડા ગ્રામ પંચાયત પણ સામેલ થાય તે પ્રકારના પ્રયાસો કરવા દરેકને પ્રેરિત કર્યા હતા.
શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશની આ પહેલી સરકાર એવી છે કે જે બાળકના જન્મ પહેલાંથી તકેદારી લઈ રહી છે. સગર્ભા માતાથી લઈ પ્રસૂતા માતા અને બાળકના આરોગ્યની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. આ પ્રકારની વ્યવસ્થા પહેલાં કોઈએ જોઈ પણ નહીં હતી અને અનુભવી પણ નહીં હતી. તેમણે યાદ અપાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને આશીર્વાદથી ઉચ્ચ અધિકારીઓ આપણાં ઘરના આંગણે આવી આપણી અને આપણાં બાળકોની કાળજી લઈ રહ્યા છે એ નાની સુની ઘટના નથી. તેથી બાળકના દરેક માતા-પિતાને પણ સંપૂર્ણ માવજત રાખી ઉછેર કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પરિવારના આરોગ્યની કાળજી પણ આપણી મોદીસરકાર લઈ રહી છે. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામસભાએ તાળીઓના ગડગડાટથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કર્મઠ પ્રયાસોની વધામણી આપી હતી.
પ્રારંભમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રીમતી કાજલ પટેલે સરકાર અને પ્રશાસન દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયોની જાણકારી આપી હતી અને બાળક તથા માતાની લેવાનારી કાળજીની પણ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ‘આયુષ્માન ભારત’ વીમાનું કવચ લઈ લેવા પણ દરેકને આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને આભારવિધિ સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલે આટોપી હતી.
વિશેષ ગ્રામસભામાં ગ્રા.પં. સભ્ય શ્રી વિષ્ણુભાઈ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, સમાજ કલ્યાણ વિભાગના પ્રતિનિધિ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.