કરણી સેના, હિંદુ સંગઠનોએ આક્રોશ સાથે રેલી કાઢી
વલસાડ કલેક્ટરને આવેદન આપ્યુ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: રાજસ્થાનના જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામડીની મંગળવારે તેમના નિવાસ સ્થાન ધનાધન ગોળીઓ મારી કરપીણ હત્યા કરાઈ હતી. જેના પડઘા પુરા દેશમાં પડયા છે. જયપુર-ઉદયપુર સહિત બુધવારે રાજસ્થાન બંધનું એલાન આપી લાખો લોકો રોડ ઉપર ઉતરી પડી હત્યારાઓને ઝડપી પાડવા માટે ઠેર ઠેર આક્રોશ ભભુકી ઉઠયો હતો. આ ઘટનાના પ્રત્યાઘાત વાપી વલસાડમાં પણ પડયા હતા.
વલસાડમાં આજે ગુરૂવારે કરણી સેના, રાજપૂત સેના અને આદિવાસી આગેવાનો તથા હિંદુ સંગઠનોએ રેલી કાઢી હતી. રેલીમાં હત્યારાઓને પકડી જાહેરમાં સજા આપવાની માંગણી સાથે લોકરોષ રેલીમાં ભભૂક્યો હતો. કરણી સેનાના એક આગેવાને જણાવ્યું હતું કે, રાજસ્થાન સરકારે 72 કલાકમાં હત્યારા નહી પકડાય તો રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવાશે. રેલી શહેરી વિસ્તારમાં ફરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રેલીમાં આદિવાસી આગેવાનો પણ જોડાયા હતા.