આ ટાવર ઓફ સાયલન્સ એક સ્મૃતિ સ્મારક બની રહેવા પામ્યું છેઃ હાલે અંતિમક્રિયા માટે ગણદેવી અથવા બીલીમોરા સ્થિત ડખમુનો ઉપયોગ કરાઈ છે
ચીખલી પારસી સમાજના અગ્રણી વિસ્તાશ મીનું કાત્રકના જણાવ્યાનુસાર અમારો પારસી સમાજ અગ્નિ, ગાય, ધરતી, પાણી, સૂરજ સહિતનો પૂજક છે. કોઈ ગુજરી જાય ત્યારે તેના મૃતદેહ ને ટાવર ઓફ સાયલન્સમાં પાળી પર મૂકી દેવાઈ છે. જેમાં સૂરજના તાપથી મૃતદેહ સુકાઈ જતો હોય છે. અમારી સમાજની સમય જતાં વસ્તી ઘટતા 1980 થી ખૂંધમાંઆવેલ ડખમુનો વપરાશ બંધ કરી દેવાયો છે.
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: ચીખલીના ખૂંધમાં પારસી સમાજનું અંતિમક્રિયા માટેનું ડખમુ (ટાવર ઓફ સાયલન્સ) નો વસ્તી ઘટતા છેલ્લા 40-વર્ષ કરતા વધુથી ઉપયોગ બંધ કરી દેવાયો છે. ત્યારે આ ટાવર ઓફ સાયલન્સ એક સ્મૃતિ સ્મારક બની રહેવા પામ્યું છે. હાલે અંતિમક્રિયા માટે ગણદેવી અથવા બીલીમોરા સ્થિત ડખમુનો ઉપયોગ કરાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ તાલુકામાં એક સમયે ચીખલીના વાણિયાવાડ, નદી મહોલ્લો ઉપરાંત તાલુકાના ફડવેલ, માંડવખડક, આછવણી, દેગામ, સાદડવેલ ઉપરાંત ખેરગામ, વાંસદા સહિતના વિસ્તારમાં પારસી સમાજના ઘણા પરિવારો વસવાટ કરતા હતા. ત્યારે સમાજના વ્યક્તિના નિધન બાદ પારસી સમાજના રીત રિવાજ મુજબ અંતિમક્રિયા માટે વર્ષો પૂર્વે કુવાનો આકાર ધરાવતા અને પારસી સમાજમાં ડખમુ તરીકે ઓળખાતા અંતિમધામનુંનિર્માણ ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં કરાયું હતું. અને ત્યાં અંતિમવિધિ થતી હતી.
સમય જતાં ચીખલી અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પારસી સમાજની વસ્તીમાં ઘટાડો થતા હાલે ચીખલી તથા ગ્રામ્ય વિસ્તાતમાં માંડ 60 થી 70 ની વસ્તી રહી જવા પામી હતી. તેવામાં પારસી અંજુમન ટ્રસ્ટ સંચાલિત એવા અંગ્રેજીમાં ટાવર ઓફ સાયલન્સ તરીકે ઓળખાતા ડખમુનો વપરાશ 1980 ના વર્ષથી સમાજ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલે પારસી અંજુમન ટ્રસ્ટ દ્વારા વિશાળ જગ્યા ધરાવતા ડખમુની ફરતે મિકલત સચવાઈ રહે અને જાળવણી થાય તે માટે કમ્પાઉન્ડ વોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આમ હાલે આ ટાવર ઓફ સાયલન્સ એક સ્મૃતિ સ્મારક બની રહેવા પામ્યું છે.
ચીખલી પારસી અંજુમન ટ્રસ્ટમાં મીનુભાઈ કાત્રક, યઝદીભાઈ ઈટાલિયા, રોહિગટન ઇટાલીયા, પીરોઝશાહ સાહેર, દિનશા કિકા સહિતના સભ્યો કાર્યરત છે.