વડાપ્રધાનશ્રી માટે ભાષાવાદ-પ્રાંતવાદ નહીં પણ મહિલા, યુવાનો, ખેડૂતો અને ગરીબ વર્ગનું સૌથી વધુ મહત્વ છે, તેઓના વિકાસ માટે કામ કરી રહ્યા છેઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: જન જનના કલ્યાણ માટે નીકળેલી અને છેવાડાના લોકોને પણ સરકારની કલ્યાકારી યોજનાનો લાભ ઘર આંગણે મળી રહે તે માટે દેશભરમાં નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ફરી લોકોને લાભાન્વિત કરી રહી છે ત્યારે આ સંકલ્પ યાત્રાનો રથ રવિવારે વલસાડ જિલ્લાના વાપી તાલુકા લવાછા ગામમાં આવી પહોંચતા રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિમાં ગ્રામજનોએ ધામધૂમથી કુમકુમ તિલક અને અક્ષતઃ સાથે સ્વાગત કરી યાત્રાને વધાવી લીધી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ગ્રામજનોને સંબોધીને જણાવ્યું કે, આજના કાર્યક્રમમાં ખાસ કરીને બહેનોની સંખ્યા ખૂબ વધારે છે જે ખુશીની વાત છે. દરેક ગામની સંકલ્પ યાત્રામાં બહેનોનો આયાત્રા પ્રત્યે અભૂતપૂર્વ લગાવ હોવાનું નિહાળ્યું છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે, મારા માટે પ્રાંતવાદ કે ભાષાવાદનું કોઈ મહત્વ નથી. ફક્ત મહિલા, યુવાનો, ખેડૂતો અને ગરીબ વર્ગ માટે જ કામ કરીશ. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, આ સંકલ્પ યાત્રા એવા અનેક લોકો માટે છે કે, જેને વિવિધ સરકારી યોજનાના લાભ ખબર નથી તેવા લોકોને જાગૃત કરી માહિતી આપી યોજનાનો લાભ અપાવવો જોઈએ. જે પૂણ્યનું કામ છે. એટલા માટે જ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરી રહી છે અને લોકોને સરકારી યોજનાના લાભથી માહિતગાર કરી લાભાર્થીઓની નોંધણી કરી ઘર બેઠા તેઓને લાભ આપી રહી છે. વધુમાં વધુ લોકો સરકારની વિવિધ યોજનાનો લાભ લે એવી અપીલ કરુ છું. વધુમાં મંત્રીશ્રીએ લવાછા ગામના વિકાસ બદલ સરપંચોને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી.પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મિતેશભાઈ પટેલ, વાપી તાલુકા પંચાયતના પ્રમુખ મનોજભાઈ પટેલ, લવાછા ગામના સરપંચ જીનલ બળવંતભાઈ પટેલ તાલુકા પંચાયતના માજી પ્રમુખ વાંસતીબેન, ગામના માજી સરપંચ રાજુભાઈ પટેલ, જિલ્લા પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચપલોત, પારડી પ્રાંતઅધિકારી અંકિત ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.કે.પટેલ અને વાપી ડીવાયએસી બી. એન.દવે સહિત ગ્રામજનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સ્થળ પર આયોજિત હેલ્થ કેમ્પનો 358 લોકોએ લાભ લઈ આરોગ્યલક્ષી તપાસ કરાવી સારવાર અને માર્ગદર્શન મેળવ્યું હતું. જ્યારે 167 લોકોએ ટીબીની અને 90 લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ઉજ્જવલા યોજના હેઠળ 19 લાભાર્થીઓની નોંધણી થઈ હતી. સરકારની યોજનાના લાભથી થયેલા ફાયદા અંગે વિવિધ યોજનાના 3 લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પોતાનું યોગદાન આપવા માટે ઉપસ્થિત સૌ એ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. જમીનની તંદુરસ્તી અને કયો પાક લેવો હિતાવહ છે તે માટે સોઈલ હેલ્થ કાર્ડનું ખેડૂતો મહત્વ સમજી શકે તે માટે તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ નવા 405 લાભાર્થીઓના કાર્ડ બનાવી સ્થળ પર 62 લાભાર્થીઓને વિતરણ પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગામની શાળાના 13 વિદ્યાર્થીઓએ પ્રાકળતિક ખેતીનું મહત્વ સમજાવતું ‘ધરતી કહે પુકાર કે…’ નુક્કડ નાટક રજૂ કર્યુ હતું. મહાનુભાવોના હસ્તે વિવિધયોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.