જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા કચીગામ ખાતેના ફાર્મ હાઉસના કૃષિ અધિકારીઓને આપેલા નિર્દેશઃ દાનહમાં વિવિધ વિકાસકામોની યોગ્ય ગુણવત્તા જાળવવા અને નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરો-અધિકારીઓને આપેલી સૂચના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શનિવારેદાનહમાં વિવિધ વિકાસ કાર્યો તથા આજે રવિવારે દમણના કચીગામ ખાતેના ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી. કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉપસ્થિત કૃષિ અધિકારીઓને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવાનો નિર્દેશ આપ્યો હતો. દાનહ અને કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રીના સલાહકારો શ્રી અમિત સિંગલા, શ્રી ડી.એ. સત્યા, દાનહ કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર, દમણ જિલ્લા કલેક્ટર શ્રી સૌરભ મિશ્રા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે તેમની દાનહ મુલાકાત દરમિયાન સેલવાસના ટોકરખાડા, અને ઝંડાચોક ખાતેની શાળા તેમજ અન્ય નિર્માણાધીન વિકાસકામોનું ઝીણવટતાથી નિરીક્ષણ કર્યું હતું. જ્યારે આજે રવિવારે નાની દમણના કચીગામ ખાતેના ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી. દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વહીવટી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી નિર્દેશો આપ્યા હતા. સાથે તેમણે પ્રશાસનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને વિકાસની કામગીરી ગુણવતાયુક્ત અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના પણ આપી હતી.